Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all articles
Browse latest Browse all 707

મનની શક્તિ અગાધ છે

$
0
0

આપણાં મનની શક્તિ અગાધ છે, પણ આપણે તેનો યોગ્ય ઉપયોગ કરતાં નથી. વાસ્તવમાં, નાનામાં નાનું કૃત્ય પણ મન ની શક્તિ દ્વારા જ થાય છે. આ શક્તિ એટલે સંકલ્પ શક્તિ. સંકલ્પ શક્તિ વગર પોતાનો હાથ પણ હલાવવો સંભવ નથી. સંકલ્પ શક્તિ એ મનુષ્યને પ્રકૃતિ તરફથી મળેલ અમૂલ્ય ઉપહાર છે. નિર્બળ મન દ્વારા કરાયેલ સંકલ્પ પણ નિર્બળ હોય છે. અહીં બે પ્રકારની વિચારધારાઓ છે. એક કહે છે કે સ્વપ્ન જુઓ, તેનું કલ્પનાચિત્ર જુઓ- તેને વિઝયુલાઇઝ કરો અને કાર્ય કરો. જયારે બીજા પ્રકારની વિચારધારા કહે છે સઘળું ઈશ્વર ને સમર્પણ કરી દો. તે સંભાળ લે છે. આ બંને વિચારધારાઓ પરસ્પર વિરોધાભાસી લાગે છે, પરંતુ હકીકતમાં તેમ નથી. બંને વિચારધારાઓ પરસ્પર સુસંગત છે. ધ્યેય રાખવું, સંકલ્પ હોવો જરૂરી છે. હા, તેને  24×7  વિઝયુલાઇઝ કર્યા કરવાની જરૂર નથી પણ તે દિશામાં નિરંતર કાર્યશીલ રહેવું જોઈએ, 100% થી  કાર્ય કરો અને ઈશ્વર ને સમર્પણ કરો. બંને વિચારધારાનો સમન્વય ઉત્કૃષ્ટ પરિણામ આપે છે.

સંકલ્પ અને ઈચ્છા એ બંને એક જ નથી, બંને વચ્ચે તફાવત છે. ઈચ્છા તમને ક્રોધિત બનાવે છે, વ્યગ્ર કરે છે. સંકલ્પ એટલે શુભ આશય. જયારે તમારી ચેતના અનંત બને છે, બ્રહ્માંડ સાથે સંયોજાય છે અને તમારાં મન ને વર્તમાન ક્ષણમાં લાવે છે, ત્યારે તમારાં મનમાં એ શુભ, કલ્યાણકારી આકાંક્ષા ઉઠે છે, જેની તમને પ્રતીક્ષા છે, જે તમારું સ્વપ્ન છે, આ સંકલ્પ છે. ઈચ્છા એટલે તેની પૂર્તિ હમણાં જ, તરત જ થવી જોઈએ જયારે સંકલ્પ લેતી વખતે તમે કહો છો, જયારે તેનો યોગ્ય સમય હોય ત્યારે તેની પૂર્તિ થાઓ! ધારો કે તમારે બેંગ્લોર થી મુંબઈ જવું છે. તમે ટિકિટ ખરીદો છો અને ત્રણ કલાક પ્લેઇનમાં યાત્રા કરો છો. પરંતુ આ ત્રણ કલાક દરમ્યાન શું તમે સતત બોલ્યા કરો છો કે “મારે મુંબઈ જવું છે, હું મુંબઈ જઈ રહ્યો છું”? ના, આમ કરશો તો કદાચ તમને માનસિક દર્દોની હોસ્પિટલમાં લોકો પહોંચાડી દેશે! ઈચ્છા એક જ્વર છે, જે તમારા શુભ આશય ને અવરોધે છે. પરંતુ સંકલ્પ એક એવી શુભ ઈચ્છા છે, જેમાં જ્વર નથી. જયારે તમે સંકલ્પ પૂર્તિ માટે કામ કરી રહ્યાં છો ત્યારે એક અટૂટ શ્રદ્ધા થી ચાલો, પ્રકૃતિ હંમેશા તમારા વિકાસ માટેનાં જ સંજોગો ઉભા કરશે. તમે હંમેશા સર્વોત્તમ જ પામશો.

કર્મનાં ક્ષેત્ર માં ઘણી મર્યાદાઓ રહેલી છે. પણ તેમ છતાં પ્રયત્ન શીલ રહેવું આવશ્યક છે. ભગવદ્દ ગીતાનો આ જ સાર છે: સંકલ્પ શક્તિમાં દ્રઢ શ્રદ્ધા રાખીને કાર્ય કરતાં રહેવું! શ્રદ્ધા રાખો કે સારું જ થશે. કદાચ થોડા સમય માટે તમને ગમતું ન થાય તેમ બને, પણ અંતે તો એ જ થશે જે તમારા માટે સર્વાધિક ઉત્તમ છે. આ શ્રદ્ધા તમારા સંકલ્પને વધુ મજબૂત બનાવશે. જો તમે શંકા કરશો કે “ઓહ! કદાચ ચોક્કસ સમસ્યાનો મારે સામનો કરવો પડશે!” અથવા “મને ખાતરી નથી, કદાચ મારુ ધ્યેય પૂરું ન પણ થાય ” અથવા તો “મને સફળતા નહિ મળે” તો એ તો એવું થયું કે તમે બ્રેક મારી મારી ને કાર ચલાવો છો. તમારી હેન્ડ બ્રેક પણ લગાવેલી છે અને તમે કાર ચલાવો છો. તો આત્મવિશ્વાસ રાખો, સેલ્ફ-ડાઉટ પડતો મૂકો અને નિશ્ચિતપણે જાણી લો કે તમારાં જીવનમાં શ્રેષ્ઠ જ બનશે.

અને એક વિસ્મયની વાત એ છે કે આપણે જેની આકાંક્ષા રાખતાં હોઈએ છીએ જીવનમાં, તે આપણી પાસે પહેલેથી જ હોય છે. તો આ સંકલ્પથી શરૂઆત કરો : મને જે જોઈએ છે તે મારી પાસે છે જ, અને જુઓ કે તમારું ધ્યેય ફળીભૂત થવા લાગે છે. મારી પાસે છે જ, તેમ વિચારવું એ બીજ વાવવાની ઘટના છે. જેમ એક બીજને વાવ્યા પછી તમે પાણી આપો છો, ખાતર આપો છો અને તે ઉગી નીકળે છે. તે જ રીતે, તમારે જે કંઈ પ્રાપ્ત કરવું છે, પહેલાં એ માની લો કે તમારી પાસે પહેલેથી છે જ. જો તમે એમ માનશો કે તમારી પાસે એ નથી તો તમારો ક્યારેય વિકાસ નહિ થાય! તો જો તમારે એક ઉદ્યોગપતિ બનવું છે તો તમારી જાતને એમ કહો કે “હું એક ઉદ્યોગપતિ છું.” અને પછી એ દિશામાં કાર્ય કરવાનું શરુ કરી દો. સામાન્ય રીતે લોકો એમ વિચારે છે કે મારે આ પ્રાપ્ત કરવાનું બાકી છે, મારી પાસે નથી. આ રીતે તમે ધ્યેય સુધી નહીં પહોંચી શકો.

પૈસા ને પાકીટમાં રાખો, તમારાં મસ્તિષ્કમાં નહીં! જે વ્યક્તિ હંમેશા માત્ર પૈસા પાછળ જ ભાગે છે તે અન્ય કશું વિચારી શકવા સક્ષમ નથી. આવી વ્યક્તિ સંબંધો માટે, પોતાનાં પરિવાર અને મિત્રો માટે, પોતાના ખુદનાં સ્વાસ્થ્ય માટે પણ વિચારી શક્તિ નથી. આ વ્યક્તિ અંતે બધું જ ખોઈ બેસે છે. તમારું મન તમને કહે છે કે વધુ પૈસા એટલે વધુ સ્વતંત્રતા. તમે ચાહો તે ખરીદી શકો, ચાહો તે સ્થળે પ્રવાસ કરી શકો, ચાહો તે કરી શકો. અને આ વિચાર તમારાં મન ઉપર પક્કડ જમાવી દે છે, ત્યારે તમારાં મન ને તે બાંધી દે છે. તમારું મન જયારે બંધાઈ જાય છે ત્યારે તમે સ્વતંત્રતા ગુમાવી બેસો છો. એટલે જ જે લોકો પાસે પૈસા છે તે સતત વધુ ને વધુ પૈસા કમાવા માટે દોડયા કરે છે, અને જેમની પાસે પૈસા નથી તે પસ્તાવો કર્યા કરે છે. ચેતનામાં થી અભાવ ને દૂર કરો અને વિપુલતા, પ્રચુરતા નો અનુભવ કરો.

જયારે તમારાં હૃદયમાં સંકલ્પ સ્ફૂરે છે ત્યારે તમારી ચેતના, બ્રહ્માંડમાં પ્રસરે છે. આટલાં વિશાળ, બૃહદ બ્રહ્માંડમાં મારે તો મારો નાનો સંકલ્પ પૂરો કરવો છે. ધારો કે તમે કોઈને પ્રશ્ન પૂછો છો અને તમારાં મનમાં શંકા છે કે તેઓ તમારા પ્રશ્ન નો સાચો જવાબ આપશે કે નહીં, તો તમે બરાબર રીતે તમારો પ્રશ્ન રજૂ જ નહીં કરો. તો સાચો રસ્તો શું છે? સૃષ્ટિની દિવ્યતામાં શ્રદ્ધા રાખો ને કહો કે આ મારી વિનંતી છે અને તેનો ચોક્કસ સ્વીકાર થશે જ. પ્રયત્ન કરો, કર્મ કરો અને વિશ્રામ કરો. રાત્રે ઊંઘી જતાં પહેલાં દસ મિનિટ ધ્યાન કરો, તમારા સંકલ્પનું સમર્પણ કરો અને ખુશી સાથે નિદ્રાધીન થાઓ. યોગ સાધના અને સજગતા નો અભ્યાસ કરો અને ઈચ્છા પૂર્તિ ના જ્વરને છોડી દો. દ્રષ્ટિકોણ બદલશો તો સમજાશે કે બહારનું જગત ભીતરથી જ શરુ થાય છે. જો તમારું અંદરનું જગત સુંદર છે તો બહારનું જગત આપમેળે સુંદર બનતું જશે. તમે પરિવર્તન નું માધ્યમ બનશો.

જયારે તમારી જરૂરિયાતો વધારે છે અને તમે માત્ર તમારી જરૂરિયાતો પરત્વે જ ધ્યાન આપ્યા કરો છો તો તમે દુ:ખી રહેશો. પરંતુ જો તમે વધુ જવાબદારીઓ લો છો, તમારી જરૂરિયાતો ઓછી છે ત્યારે સઘળું તમારા પ્રતિ આકર્ષાય છે. ઉત્સાહ, ખુશી, સૃજનાત્મક્તા આ બધું જ તમારા માટે સહજ પ્રાપ્ય બને છે. ધ્યાન દ્વારા તમે તમારી સંકલ્પ શક્તિને પ્રબળ બનાવી શકો છો. નિયમિત ધ્યાન કરો અને તમે જોશો કે તમારાં નિશ્ચિત કરેલાં ધ્યેય કેટલા ઓછા સમયમાં સરળતાથી પૂર્ણ થાય છે! સંકલ્પ શક્તિ પ્રકૃતિનો સુંદર ઉપહાર છે, તેને વધાવી લો!

(શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)


Viewing all articles
Browse latest Browse all 707

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>