Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all articles
Browse latest Browse all 707

આદિ શંકરાચાર્ય –એક આધ્યાત્મિક રોશની

$
0
0

સદ્‍ગુરુ: આદિ શંકરાચાર્ય એક અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ, ભાષાકીય રીતે પ્રતિભાશાળી અને સૌથી મહત્વનું કે એક આધ્યાત્મિક રોશની અને ભારતનું ગૌરવ હતા. તેમના ટૂંકા જીવનકાળ દરમિયાન, તેઓ આ દેશના વિસ્તારના દરેક ભાગ સુધી પહોંચ્યા. આ ઊર્જા, આ જુસ્સો અને આ જ્ઞાન ક્યાંથી આવ્યું?

શંકરાચાર્ય કલાડી નામના ગામમાંથી આવ્યા હતા, જેનો શાબ્દિક અર્થ થાય છે  “પગની નીચે.”  દક્ષિણમાં, અમે ભારત માતાના ચરણોમાં છીએ. ભારતીય હોવું એટલે કે આપણે હંમેશા ઈશ્વરના ચરણોમાં કેવી રીતે રહેવું તે શીખ્યા છીએ. ઈશ્વરના ચરણોમાં રહીને આપણે વિકાસ પામ્યા અને ખીલ્યા. આ ઠાઠમાઠની સંસ્કૃતિ નથી, પરંતુ કુદરતી ધર્મનિષ્ઠાની સંસ્કૃતિ છે.

બધું જ માયા છે

શંકરાચાર્યએ કહ્યું, “બધું જ માયા છે.” માયા એટલે ભ્રમણા, મતલબ કે તમે તેને તે જે રીતે છે તે રીતે નથી જોઈ રહ્યા. અહીં તમે  દેખીતી રીતે આ નક્કર શરીર સાથે છો, પરંતુ તમે જે ખોરાક ખાઓ છો તેનાથી, તમે જે પાણી પીવો છો તેનાથી અને તમે શ્વાસ લો છો તે હવાથી, તમારા શરીરના કોષોમાં રોજિંદા ધોરણે આપ-લે થાય છે. આનો અર્થ એ છે કે થોડા સમય પછી, તમારી પાસે સંપૂર્ણપણે નવું શરીર છે. પણ તમારા અનુભવમાં, એવું લાગે છે કે તે એની જ વસ્તુ છે – આ માયા છે. તેવી જ રીતે, તમે પાંચ ઇન્દ્રિયો દ્વારા અસ્તિત્વને જે રીતે અનુભવો છો, તે સંપૂર્ણપણે અસ્પષ્ટ છે – આ તે ભ્રમણા છે, માયા છે, જેના વિશે શંકરાચાર્યએ વાત કરી હતી.

એક વાર્તા છે કે કેવી રીતે એકવાર કાશીમાં, શંકરાચાર્ય વહેલી સવારે સ્નાન કર્યા પછી એક મંદિરમાં પ્રવેશી રહ્યા હતા. ત્યારે એક ચંડાલ તેમના રસ્તામાં આવ્યો. ચંડાલ સ્મશાનની જાળવણી કરનાર એક ચોક્કસ જાતિ હતી. તેઓ સૌથી નીચા અને અશુભ ગણાતા હતા. એવી માન્યતા હતી કે તમે ચંડાળને જોશો તો મૃત્યુ આવશે. તેમની સાથે કોઈ કંઈ લેવા દેવા રાખતું નહોતું અને તેમને દૂર રાખવામાં આવતા હતા. તેથી જ્યારે આ માણસ તેમની સામે આવ્યો, ત્યારે શંકરાચાર્યએ કહ્યું, “દૂર જાઓ.” તે માણસ ત્યાં જ ઊભો રહ્યો અને પૂછ્યું, “કોણે દૂર જવું જોઈએ – મારે કે મારા શરીરે?”

આનાથી શંકરાચાર્યને ગંભીર આઘાત લાગ્યો. તે બધાને શીખવતા હતા કે, “તમે આ શરીર નથી, આ બધી માયા છે.” હવે જ્યારે આ વ્યક્તિએ આ પ્રશ્ન પૂછ્યો, ત્યારે તે તેમને ખૂંચી ગયો. તે પછી, તેમણે ફરી ક્યારેય એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં, ક્યારેય ઉપદેશ આપ્યો નહીં. તેઓ બસ હિમાલયમાં ચાલ્યા ગયા. કેદારનાથમાં, આજે પણ તેમના માટે એક સ્મારક છે – આરસમાં કોતરેલા ફક્ત તેમના હાથ અને આધાર માટે ઉપયોગમાં લેવાયેલ દાંડીઓ, દિવાલમાંથી બહાર નીકળે છે. તેઓ જોવા મળ્યા હોય તેવું તે છેલ્લું સ્થાન છે. વાર્તા એવી છે કે તેઓ ત્યાંથી ઉપર ચાલ્યા ગયા અને શિવ સાથે ભળી ગયા.

આ આપણા રાષ્ટ્ર અને સંસ્કૃતિનો મૂળભૂત સ્વભાવ છે – આપણે કોઈને પછાડીને આગળ આવતા નથી – આપણે નીચે નમીને આગળ આવીએ છીએ. પછી ભલે તે ભગવાન હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, પ્રાણી હોય, વૃક્ષ હોય કે ખડક હોય – આપણે દરેક વસ્તુને નમન કરવાનું શીખ્યા છીએ. આ આપણી શક્તિ રહી છે, આ જ આપણો માર્ગ રહ્યો છે, આ આપણી ઉત્ક્રાંતિ અને અનુભૂતિની પ્રક્રિયા અને પદ્ધતિ રહી છે. ચાલો આપણે આ દેશમાં અને બાકીના વિશ્વમાં શંકરાની ભાવનાને ફરીથી પ્રજ્વલિત કરીએ.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.


Viewing all articles
Browse latest Browse all 707


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>