Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all 715 articles
Browse latest View live

ખુશી કોને કહેવાય?

$
0
0

(બી. કે. શિવાની)

જીવનમાં આપણે ઘણું બધું નિહાળીએ છીએ. વ્યક્તિઓ, મિત્રો, સબંધી, ચીજ-વસ્તુઓ અને તેમની પાસેથી આપણે નાની-મોટી અનેક વાતો શીખીએ છીએ. ભાવ-ભાવનાઓ, ધન, મદદ પણ મેળવીએ છીએ. આપણા ઘણાં સપનાં હોય છે, જે આપણાં જીવન અને પરિવાર કે બાળકોને અનુલક્ષીને હોય છે. પોતાની કારકિર્દીને અનુલક્ષીને પણ આપણા સપનાં હોય છે. જેમ-જેમ આપણે સપનાઓને સાકાર કરતા જઈએ છીએ તેમ તેમ આપણને આનંદ અને ખુશીનો અનુભવ થાય છે, પરંતુ આજે આપણે જોઈએ છીએ કે, જીવનમાં આપણે રાખેલી તમામ આશાઓમાંથી પસાર થતા-થતા ક્યાંક ને ક્યાંક આપણી ખુશી ઓછી થઈ રહી છે. ખુશી મળી અને થોડી વારમા જતી પણ રહી. આપણે ફરી તે ખુશીઓને મેળવવા, તેને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ.

આ લેખમાળામાં મારી કોશિશ એ છે કે ખુશી શું છે? ખુશી કોને કહેવાય? તે સમજીને પોતાના જીવનમાં અપનાવીએ. હું કેવી રીતે ખુશ રહી શકું છું? શું મને એ ખબર છે કે, એવી કઈ વાતો છે જે મને ખુશી આપે? ખુશી ક્યાંય બહાર બજારમાં કે કોઈના ઘરે, ક્યાંકથી મળશે? કે પછી કોઈ સાથેના સારા સ્વચ્છ સંબંધો દ્વારા મળશે? કે પછી કોઈ ભૌતિક ચીજ વસ્તુઓને આધારે પ્રાપ્ત થશે? કે પછી ખુશી મારી પોતાની અંદર જ સમાયેલી છે? એવી ઘણી બધી બાબતો છે કે જે આપણી ખુશી સાથે જોડાયેલ છે. આપ વારંવાર પોતાનું અવલોકન કરો કે મારી ખુશીનો ઇન્ડેક્સ શું છે?

આખા દિવસમાં ઘણી બાબતો કે પરિસ્થિતિઓ આપણી સામે આવે છે. કોઈ પ્રસંગ મારી પસંદ મુજબનો હશે, તો કોઈ પ્રસંગ મારી પસંદગી પ્રમાણેનો નહીં પણ હોય. તેવી જ રીતે કોઈ વ્યક્તિ હું ઇચ્છું છું તે પ્રમાણે વર્તશે અને કોઈ મારી ઇચ્છા મુજબ નહીં પણ વર્તે. મોટા ભાગે આપણે આપણી ખુશી પરિસ્થિતિઓ તથા વ્યક્તિઓ ઉપર આધારિત રાખીએ છે. આજે મોટે ભાગે દરેક વ્યક્તિઓ તેવું અનુભવે  છે કે, ખુશી ક્ષણિક મળે છે અને પળવારમાં ખુશી ગાયબ થઈ જાય છે. જેમ કે એક પ્રસંગ જે આપણી પસંદગી મુજબનો થયો, જેમાં બાળકો સવારે વહેલા ઊઠીને તૈયાર થઈ ગયા અને મને ખુશી થઈ. પણ બીજા પ્રસંગે બાળકો સમયસર તૈયાર થયા છે, પરંતુ તેમને લેવા માટે બસ ન આવી. તેથી કાર દ્વારા મારે બાળકોને સ્કૂલે મૂકવા માટે જલ્દી-જલ્દી જવું પડ્યું.

પ્રથમ પ્રસંગમાં ખુશી હતી, પરંતુ બીજા પ્રસંગે ખુશી જતી રહી. પછી એવું દ્રશ્ય સામે આવે છે કે, સમયસર બાળકો સ્કૂલે પહોંચી ગયા. ઘણું સરસ. પરંતુ બીજા દ્રશ્યમાં એ યાદ આવ્યું કે, જે નોટ-બુકમાં લેસન કર્યું હતું તે નોટ તો ઘરે જ રહી ગઈ. તો ફરી ખુશી જતી રહી. આવા દ્રશ્યો આપણાં માનસિક સંતુલન ઉપર ઘણો પ્રભાવ પાડે છે. કારણ કે આપણે આપણા મનનું નિયંત્રણ સંપૂર્ણ રીતે બહારની પરિસ્થિતિઓના હાથમાં સોપી દીધેલ છે. આપણે વિચારીએ છીએ કે, આવું તો સ્વાભાવિક હોય જ છે. જેમ જેમ પરિસ્થિતિઓ તથા પ્રસંગો બદલતા જશે, મારા વિચારો તે પ્રમાણે બદલતા જશે. તેથી ક્યારેક આપણને ખુશી મળે છે તો ક્યારેક દુ:ખ અને અશાંતિનો અનુભવ થાય છે. આપણે તેને સ્વીકાર કરી લઈએ છીએ કે આ કેવું જીવન છે?

આપણે પોતાના મનની શક્તિઓને પરિસ્થિતિઓને આધારિત બનાવતા ગયા. પરિસ્થિતિઓ દિવસે-દિવસે પડકારરૂપ બનતી ગઈ. ક્યારેક અનુકૂળ તો ક્યારેક પ્રતિકૂળ. જેના કારણે જીવનમાં અશાંતિનું પ્રમાણ વધતું ગયું. ત્યારે આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે, મારા જીવનમાં એક સારો પતિ-સારી પત્ની છે. ઘરમાં દર મહિને સંતોષકારક આવક આવી રહી છે. 35 વર્ષની ઉંમરમાં મેં બે માળનું મકાન બનાવી લીધેલ છે. બહાર અમારા બન્ને માટે અલગ-અલગ ગાડીઓ ઉભી છે. બાળકો માટે અલગ સાધનો છે. જીવનમાં તમામ ભૌતિક સાધનો હોવા છતાં હું ખુશ શા માટે નથી? હવે આનાથી વધુ શું જોઇએ? જીવનમાં આટલું બધું પ્રાપ્ત થયું હોવા છતાં કંઈક ખૂટે છે તેવો અનુભવ થાય છે. તેવામાં એક પ્રશ્ન થાય છે કે આ બધામાં આપણી ખુશી ક્યાં છે?

આપણે શરીરને તંદુરસ્ત રાખવા માટે કસરત શરૂ કરીએ છીએ. પરંતુ તે કસરતના કામનો પણ આપણે એક તણાવ અનુભવીએ છીએ. તેથી આપણે ફક્ત આપણા માતા-પિતાને જ જોવા જોઈએ કે, તેઓ ક્યારેય કોઈ જીમમાં કે વ્યાયામશાળામાં કસરત કરવા ગયા નથી. તેઓએ ક્યારેય મિનરલ વોટર નથી પીધું. તે જમાનામાં ભોજન ઉપર આજના જમાના પ્રમાણે આટલું બધું ધ્યાન રાખવામાં આવતું ન હતું. આપણા ઘેર સાદું ભોજન બનતું હતું, છતાં પણ આપણે ખુશી-ખુશીથી સ્વીકાર કરતા હતા. આજે આપણને શરીરને તંદુરસ્ત રાખવા માટે આટલું બધું ધ્યાન શા માટે રાખવું પડે છે? કારણ કે ભાવનાત્મક દબાણ ઘણું વધારે છે. શરીરમાં કોઈને કોઈ બીમારી કે સમસ્યા ચાલતી જ રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે, આપણે આત્માનું ધ્યાન રાખતા નથી. જેના કારણે સમસ્યાઓ અને પ્રશ્નો આવવાના શરૂ થઈ જાય છે. પરંતુ જો આપણે આત્માનું પણ ધ્યાન રાખીએ તો આટલું બધું દબાણને દૂર કરવા મહેનત કરવી નહીં પડે.

જો તમે કસરત કરવા જઈ રહ્યા છો અને બે કે ત્રણ વ્યક્તિઓ સાથે કસરત કરી રહ્યા છો. તો આપ પોતાને જુવો  કે તે સમયે મારા વિચારોની ગુણવત્તા કેવી છે?  શરીરની તંદુરસ્તી માટે ચાલવા જઈએ છીએ, પરંતુ સાથે-સાથે મનમાં તો નકારાત્મક વિચારો આવી રહ્યા છે. તો આ નકારાત્મક વિચારોની અસર સીધા આપણા મન પર જ નહીં પરંતુ સમગ્ર શરીર ઉપર પડે છે. જ્યાં સુધી આપણે આપણા વિચારોનો અનુભવ નહીં કરીએ કે, શારીરિક તંદુરસ્તી ઉપર આત્મિક તંદુરસ્તીનો કેટલો ઊંડો પ્રભાવ પડે છે! ત્યાં સુધી આપણે મનથી  સ્થિર રહી નહિ શકીએ. માટે જ સૌ પ્રથમ આપણે આપણા વિચારોને જોવાની જરૂર છે.

જો તમે એક વાત પર ધ્યાન આપો છો અને બીજી બાબતોની અવગણના કરો છો તો પરિણામ શું આવશે? મહેનત વધુ અને સફળતા ઓછી મળશે. આજે ડોક્ટર પાસે 30 વર્ષથી નીચેની ઉંમર વાળો કોઈ  યુવાન આવીને કહે કે, મારી જીવન પ્રણાલી બરાબર છે. હું ડ્રિંકિંગ-સ્મોકિંગથી દૂર રહું છું. હું સંપૂણ શાકાહારી ભોજન જ લઉં છું. દરરોજ સવારે નિયમિત જોગિંગ કરું છું, છતાં પણ મને આટલી બધી આળસ કેમ અનુભવાય છે? પણ તેમણે પોતાના શરીરની તંદુરસ્તી માટે સર્વ બાબતોનું ધ્યાન તો રાખ્યું, પરંતુ એક વાતનું ધ્યાન ન રાખ્યું કે, આખા દિવસમાં મારા મનની સ્થિતિ કેવી છે? અને સર્વ સામાન્ય રીતે એવું સ્વીકારી લીધું કે, હવે આનું કંઇ થઇ શકે નહીં. જીવનમાં ટેન્શન તો રહેવાનું જ છે. પણ આનો વિપરિત પ્રભાવ વિવિધ બીમારીઓના સ્વરૂપે આપણી પાસે આવે છે.

હવે આપણે સમજીએ કે માનસિક તથા ભાવનાત્મક તંદુરસ્તી એટલે શું? તેનો અર્થ શું છે? ખુશી એ આપણી માનસિક તંદુરસ્તીની નિશાની છે. જયારે તમને ખુશીનો અનુભવ નથી થતો, ત્યારે તમારે સમજી લેવું કે તે સમયે હું માનસિક રૂપે તંદુરસ્ત નથી. હવે તમે તમારા આખા દિવસના ઇન્ડેક્સને ચેક કરો કે આજે મારો આખો દિવસ કેવી રીતે પસાર થઇ રહ્યો છે? ખાસ કરીને તેવા સમયે કે જ્યારે તમે હળવાશનો અનુભવ કરી રહ્યા હો છો. ધારો કે હું ચાલવાની કસરત કરી રહ્યો છું અને ચાલતા ચાલતા તે સમયે ઘૂંટણમાં પીડાનો અનુભવ થઈ રહ્યો છે. પણ તેમ છતાં હું ચાલવાનું ચાલુ રાખું છું. એ સમયે કોઈ આપણને સલાહ આપીને કહે કે – કોઈ ડોક્ટરને બતાવો. ત્યારે તમે એમ કહો છો કે હા પછી બતાવીશું, અત્યારે તો સમય જ નથી. પછી બતાવવા જઈશું. ધીરે-ધીરે તમે એ બાબતનો સ્વીકાર કરી લીધો છે કે મારે પીડાની સાથે જ ચાલવાનું છે. અને મનને મનાવો છો કે મારી પાસે હોસ્પિટલમાં જવાનો સમય જ ક્યાં છે?  અને તમે મનથી કહો છો કે શરીરની પીડા તો મારા જીવનનો એક ભાગ બની ગયેલ છે. એ પીડાની સાથે જીવવાનું તમે સ્વીકાર કરી લો છો. શું આ તંદુરસ્તી છે? શું આ તંદુરસ્ત પગ છે? શું ઘૂંટણ ઠીક છે?  ના. તમે તે પીડાનો સ્વીકાર કરી લીધો અને તેને સામાન્ય ગણી લીધી. પરંતુ તે સામાન્ય નથી. તો પ્રશ્ન થાય કે શું આપણે માનસિક તણાવને આ રીતે જ સ્વીકાર કરી લેવો જોઈએ?

મનની સ્થિતિના સંબંધમાં પણ મનુષ્ય આવું જ કઇક વિચારે છે. જ્યારે આપણને ટેન્શન ના કારણે દર્દનો અનુભવ થાય છે, ત્યારે આપણે વિચારીએ છીએ કે આ દર્દ (પીડા)નું તેની જાતે જ સારું થઈ જશે. અને એ પછી આપણે તે દર્દનો કાયમ માટે સ્વીકાર કરી લઈએ છીએ. કોઈ આપણું ધ્યાન દોરે તો આપણે જવાબ આપીએ છીએ કે ટેન્શન તો બધાને છે ફક્ત મને એકલાને જ થોડું છે? જો તમે કોઈ સમારંભમાં જાઓ કે જ્યાં 100 વધુ વ્યક્તિઓ બેઠા છે. ત્યાં જઈને તમે એક સાધારણ પ્રશ્ન પૂછો કે કોને-કોને માનસિક તણાવનો અનુભવ થાય છે? તો હું વિશ્વાસ સાથે કહું છું કે ત્યાં તમને એક પણ એવો વ્યક્તિ નહીં મળે છે જે ઊભા થઈને કહે કે મારા જીવનમાં ટેન્શન નથી. 99% લોકો એમ જ કહેશે કે આ તો બધાને હોય જ. આ તો સ્વાભાવિક છે. બધાને અનુભવ થાય જ છે. આજે લોકોએ ટેન્શન સાથે જીવવાનું સ્વીકાર કરી લીધું છે.

જો કોઈ વ્યક્તિ એવું કહે કે હા મને ટેન્શન નથી. તો કોઈ તેની આ વાતનો સ્વીકાર જ નહીં કરે. કારણ કે બધાએ એ બાબતનો સર્વ સામાન્ય સ્વીકાર કરી લીધો છે કે ટેન્શન તો એક સામાન્ય બાબત છે. આ બિમારી વર્તમાન સમયે બધાને અનુભવાય છે. જેના કારણે આપણે પણ તેને સ્વાભાવિક જ ગણી લઈએ છીએ. જો આપણે પીડાને શરૂઆતથી જ ચેક કરાવી લઈએ તો આપણે ભાવનાત્મક રૂપથી સ્વસ્થ રહીશું. પરંતુ આપણને પીડા છે ને સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. માનસિક તણાવનો અનુભવ થાય છે અને આવેશ કે ગુસ્સામાં આપણે કહ્યું કે મારું ધ્યાન રાખવા માટે મારી પાસે સમય નથી. તો શું આપણે પોતાને સ્વસ્થ  કહી શકીશું?  ના. કારણ કે, આપણે આરામનો અનુભવ કરી રહ્યા નથી. મારૂ ભાવનાત્મક સ્વાસ્થ્ય આજે કઈ કક્ષાએ છે? તે જાણવા માટે મારે બીજા પાસે જવાની જરૂરિયાત નથી.

ઘણીવાર આપણે કોઈ એક કામમાં એકાગ્ર બની જઈએ છીએ તો થોડા સમય માટે આપણી પીડાને ભૂલી જઈએ છીએ. અને સમજીએ છીએ કે પીડા ખતમ થઈ ગઈ અને થોડા સમય પછી પીડાનો અનુભવ ફરીથી શરૂ થઈ જાય છે. કારણકે આપણે ફક્ત થોડા સમય માટે મનને પીડાના વિચારોથી અલગ કરી દીધું. ખરેખર તો આપણે જીવનમાં ઘણું બધું મેળવેલું હોય છે. વાસ્તવમાં આપણું જીવન ખૂબ જ સુંદર જીવન છે. પરંતુ ઘણા મનુષ્ય જીવનની આ સુંદરતાનો આનંદ ઉઠાવી શકતા નથી. આપણે આત્માની તંદુરસ્તી તરફ તો ધ્યાન જ નથી આપ્યું. બાકી તમામ બાબતોનું આપણે ખૂબ સુંદર રીતે ધ્યાન રાખીએ છીએ પરંતુ જે પાયાની બાબત છે, તે તરફ તો આપણે ધ્યાન જ નથી રાખ્યું. આપણું જીવન એક વૃક્ષ સમાન છે. જો વૃક્ષના બીજની ગુણવત્તા ઉપર આપણે ધ્યાન નહીં રાખીએ તો જીવનરૂપી છોડ સારી રીતે નહીં ઉગે. જીવનમાં કોઈ ચોક્કસ ઉણપ રહી જશે……

વધુ આવતા લેખમાં.

 


હતાશા અને નિરાશાઃ શું તે ખરીદવા જેવી વસ્તુ છે?

$
0
0

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

પ્રશ્નકર્તા: હું એન્જિનિયરિંગ એન્ટરન્સ પરીક્ષા પાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ એમાં બે વાર નિષ્ફળ ગયો . હું ખૂબ નિરાશ થઈ ગયો છું અને તેમાંથી બહાર આવી નથી શકતો.

સદગુરુ: હતાશા, નિરાશા અને હિમ્મત ગુમાવવી એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર તમે નિરાશ થઈ જશો તો તમે હિમ્મત ગુમાવશો. અને જો એકવાર તમે હિમ્મત ગુમાશો તો તમે હતાશ થઇ જશો.

ચાલો, હું તમને એક વાર્તા કહું. શેતાને ધંધો છોડી દેવાનું નક્કી કર્યું, તેથી તેણે તેના ધંધાના તમામ સાધનો વેચવા નાખ્યા. તેમાં ક્રોધ, વાસના, લોભ, ઈર્ષ્યા, સંપત્તિ પ્રત્યેની લાલસા, અહંકાર હતાં – તેણે બધું વેચવા કાઢ્યું અને લોકોએ તે બધું ખરીદી લીધું. પરંતુ પછી કોઈકે જોયું કે તેની પાસે હજી પણ તેની થેલીમાં કંઈક હતું. તેથી તેઓએ તેને પૂછયું, “તમારી પાસે થેલીમાં હજી શું છે?” શેતાને કહ્યું, “આ મારા સૌથી અસરકારક સાધનો છે. હું તેમને વહેંચીશ નહીં, કદાચ હું ધંધામાં પાછા આવવાનું નક્કી કરું તો? અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો હું તેમને વેચવા કાઢું તો પણ, તે ખૂબ મોંઘા હશે, કેમ કે કોઈક રીતે જીવનનો નાશ કરવા માટેના મારા કાર્યના આ શ્રેષ્ઠ સાધનો છે.”

લોકોએ પૂછ્યું, ” અમને કહો કે તે શું છે?” શેતાને કહ્યું, “નિરાશા અને હતાશા.”

એકવાર જ્યારે ઉત્સાહ ખતમ થઈ જાય અને તમારામાં ઉદાસીનતા આવી જાય ત્યારે જીવનની સંભાવના નથી. જ્યારે તમે કહો છો કે “હું કોઈ વસ્તુથી નિરાશ થઈ રહ્યો છું,” તો તમે નિરાશા અને હતાશાથી દૂર નથી. નિરાશા એ પ્રથમ પગલું છે.

-તો, તમે નિરાશાને કેવી રીતે છોડશો? તેને ખરીદશો નહીં! તમારે તેને છોડવાની કોઈ જ જરૂર નથી, કારણ કે જીવન – દરેક જીવન – એક ઉત્સાહ છે. કીડી જે રીતે ફરે છે તેને જુઓ. જો તમે તેને રોકવાનો પ્રયાસ કરો છો, તો શું તે ક્યારેય નિરાશ અથવા હતાશ થાય છે? જ્યાં સુધી તે મૃત્યુ પામે નહીં ત્યાં સુધી તે પ્રયાસ કરશે. જીવન ઉર્જા કોઈ પ્રકારની નિરાશા જાણતી નથી. તે મર્યાદિત મન છે જે નિરાશાને જાણે છે, કારણ કે મર્યાદિત મન ખોટી અપેક્ષાઓ થકી કાર્ય કરે છે. જ્યારે તમારી અપેક્ષાઓ જીવન સાથે સુસંગત ન હોય,  તમારી અપેક્ષાઓ જીવંત ઘટનાને બદલે કાલ્પનિક મનોવિજ્ઞાન હોય છે, અને જ્યારે તે અપેક્ષા પૂર્ણ નથી થતી ત્યારે મનને લાગે છે કે તે જીવનનો અંત છે.

હતાશા, નિરાશા અને હિમ્મત ગુમાવવાનો અર્થ એ છે કે તમે તમારા પોતાના જીવનની વિરુદ્ધ કામ કરી રહ્યા છો. જ્યારે લોકો તેમની પરીક્ષામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેમાંથી ઘણા લોકો આત્મહત્યા કરે છે, શું તેમ નથી? કારણ કે તેઓને એવું લાગે છે કે તે જીવનનો અંત છે. તમે જેમની પૂજા કરો છો તે બધા લોકો – રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈસુ – તેઓએ ક્યારેય કોઈ પરીક્ષા પાસ કરી નથી. તમે તેમની પૂજા શા માટે કરો છો?  પરીક્ષા પાસ કરવા માટે, તમે એવા લોકોને બોલાવી રહ્યા છો કે જેમણે ક્યારેય પરીક્ષા પાસ કરવાની કાળજી લીધી ન હતી. તેમ કરવું અર્થહીન છે.

તમારી પરીક્ષા પાસ ન કરવાનો અર્થ કંઈ જ નથી. તમે સામાજિક આવશ્યકતાને કારણે પાસ થવા માંગો છો, તે અલગ વાત છે. પરંતુ નિરાશ થવું એ જીવનની ઘટના નહીં પણ સંપૂર્ણપણે એક માનસિક ઘટના છે. જ્યારે તમે નિરાશ થાવ અને તમારું મન એમ કહે કે “આ જીવન જીવવા જેવું નથી, મને મરી જવા દો,” ફક્ત તમારું મોં બંધ કરો, તમારા નાકને બે મીનિટ સુધી પકડો અને જુઓ, તમારી અંદરનું જીવન કહેશે કે, “મને જીવવા દો.”

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)

તમારું પોતાનું મન શું તમારાં નિયંત્રણમાં છે?

$
0
0

તમે જેમને ચાહો છો તેઓ તમને સાચો પ્રેમ કરે છે કે નહિ, એવો પ્રશ્ન ક્યારેય થાય છે? કોઈ ની સાથે બંધાયેલ મધુર સંબંધ સાચો છે કે ખોટો, તેવો પ્રશ્ન પણ ઉદ્ભવે છે?

હું તમને કહીશ કે સામી વ્યક્તિ વિશે કોઈ પણ અભિપ્રાય બાંધતાં પહેલાં એ જુઓ કે તમારું પોતાનું હૃદય કેટલું વિશાળ છે! તમારા સાથીનો તમે શું સંપૂર્ણ સ્વીકાર કરો છો? એ જાણવું ખુબ રસપ્રદ છે કે તમારું મન હંમેશા સકારાત્મક બાબતો પ્રત્યે જ શંકાશીલ બનતું હોય છે. અન્ય વ્યક્તિની પ્રમાણિકતા ઉપર તમે શંકા કરો છો, પણ જયારે તમે કોઈને અપ્રમાણિક કહો છો ત્યારે ખાતરીપૂર્વક કહો છો! વિચારો, જયારે તમને કોઈ પૂછે છે કે “શું તમે ખુશ છો?” તો તમે સંકોચાઈને કહો છો કે “કદાચ! મને પાક્કી ખાતરી નથી.” પણ તમારી ઉદાસી અંગે તમને ક્યારેય શંકા હોતી નથી. કોઈ તમને કહે છે “હું તને પ્રેમ કરું છું. ” તો તમારી પ્રથમ પ્રતિક્રિયા હોય છે: “સાચે જ?” તો જાણી લો કે શંકા હંમેશા સકારાત્મક અનુભવો, ભાવનાઓ પ્રત્યે જ ઉદ્ભવતી હોય છે. તમારા સાથીનો જેવા છે તેવા સ્વરૂપમાં સ્વીકાર કરો.

કોઈ સંબંધને બાંધવાનો પ્રયત્ન ન કરો. તમે સહજ, સરળ અને જેવા છો તેવા જ રહો. જો તમે કોઈ સંબંધને બાંધવાના, ખીલવવાના પ્રયત્નો કરશો તો તમે અસહજ વર્તન કરવા માંડશો. જરા કલ્પના કરી જુઓ, કોઈ વ્યક્તિ સતત તમને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરે છે તો તમને કેવું લાગશે? તમે એમનાથી દૂર થતા જશો, નહિ? તમે કોને ચાહી શકો? જે સરળ, સહજ અને નિખાલસ હોય તેને કે જે તમને સતત પ્રભાવિત કરવાના પ્રયાસો કરે તેને? તો અન્ય વ્યક્તિ પણ તમારી પાસેથી સહજ અને નિખાલસ વ્યવહાર ઈચ્છે છે. સંબંધોમાં હંમેશા સાચા, સરળ, સહજ નિખાલસ અને ક્ષમાશીલ રહો. વર્તમાન ક્ષણ માં રહો.

તમારું પોતાનું મન શું તમારાં નિયંત્રણમાં છે? તમારાં ખુદનાં મનને શું તમે જાણી શકો છો? તો અન્ય વ્યક્તિનાં મનને કઈ રીતે જાણી શકાય? તો કોઈ પણ સંબંધમાં અન્ય વ્યક્તિ ઉપર નિયંત્રણ કરવાની વૃત્તિ છોડો.

જે તમારું છે, તે તમારું જ રહેશે. અને જે તમારાથી દૂર જાય છે, તે ક્યારેય તમારું હતું જ નહીં એ નિશ્ચિતપણે જાણી લો. આટલું જાણી લેશો તો તમે પ્રગાઢ શાંતિનો અનુભવ કરશો. અને હંમેશા શાંત રહો, તમારી આંતરિક સ્વતંત્રતાને પિછાણો . અને જુઓ કે સમગ્ર જગત તમારું પોતાનું છે. આ સત્ય સમજ્યા સિવાય કોઈને પોતાના બનાવવાના ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ તેઓ તમારાથી દૂર સરકી જશે. આટલા માટે જ અધ્યાત્મનું થોડું જ્ઞાન હોવું બહુ અગત્યનું છે.

આ જ્ઞાન તમને હંમેશા કેન્દ્રસ્થ રાખશે. આંતરિક શક્તિનો અનુભવ થશે. અને પછી સહજપણે જ બધું જ તમને પ્રાપ્ત થશે. ભગવદ્દ ગીતામાં પણ એ જ કહ્યું છે કે જે બ્રહ્માંડની ચેતના સાથે સંયોજાઇને રહે છે, તેની સર્વ ઈચ્છાઓ પુરી થાય છે. યોગ, ધ્યાન અને પ્રાણાયામ દ્વારા તમે વધુને વધુ શાંત, પ્રસન્ન અને કેન્દ્રસ્થ બનતા જાઓ છો, અને બ્રહ્માંડ તમને વધુ ને વધુ આપવા તત્પર રહે છે. શાંત રહો, પ્રસન્ન રહો, હૃદયના નીરવ સ્થાનમાં વિશ્રામ કરો અને જુઓ કે સઘળું તમારું જ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

ખુશી કોને કહેવાય?: ભાગ-2

$
0
0

(બી. કે. શિવાની)

ભાગ-2: આપણે કોઈ છોડ કે વૃક્ષના મૂળમાં એટલે કે તેના બીજને પાણી ન રેડીયે અને તેના પાંદડા ઉપર પાણી છાંટીએ કે ફૂલ-ફળ ઉપર પાણી છાંટીએ તો, તે પાણી મૂળ સુધી પહોંચતા પહોંચતા તો સુકાઈ જાય છે. છોડ કે વૃક્ષના મૂળ સુધી તો પાણી પહોચતું જ નથી. તેમ આજની ચકાચોંધની દુનિયામાં પણ આપણે માત્ર ને માત્ર બાહ્ર્ય આડંબરો, દેખાવ પુરતું જ આપણે આપણી જાતને ઉપર-ઉપરથી સામાન્યભાવ અને ખુબ સાધારણતાથી જ જોઈએ છીએ. આપણે કયારેય પોતાને અંતરમનથી કે અંદરથી સમજવાનો પ્રયત્ન કર્યો જ નથી. આજના સમયમાં આત્માના આંતરિક સદગુણોને વધારવાનો પ્રયત્ન કરવો ખુબ જરૂરી છે.

આપણે કુટુંબ, પરિવારમાં અને મિત્રોને એવું કહેતા હોઈએ છીએ કે, મારે તો રોજ કેટલું બધું કામકાજ હોય છે, જેમ કે ઘરમાં બાળકોનું ધ્યાન રાખવું. ઓફીસમાં કે વેપાર ધંધામાં ધ્યાન આપવું. પાડોશી અને સમાજના પ્રસંગો જોવા. ઘરનું કામકાજ હોય. સાથે-સાથે મિત્રો, વડીલો ખુશ રાખવા કે બીજાઓને ખુશ કરવા. આ બધું કરવા તમને ખૂબ પ્રયત્ન અને મહેનત લાગે છે. તેનું મુખ્ય એ કારણ છે કે તમારું મન બહુ જ નબળું અને અશક્ત છે. સામાન્ય રીતે આપણે દિવસમાં 10 કલાક જેટલું કામ કરીએ છીએ. પણ જો આપણે થોડા બીમાર થઈ ગયા હોઈએ અને પણ બિમારીમાં 10 કલાક કામ કરીએ, તો સાજા હોઈએ ત્યારે અને બીમાર હોઈએ ત્યારે જે કામ કરીએ છીએ તે બન્ને દિવસોના કામમાં ફેર પડશે કે નહિ પડે? ચોક્કસ ફેર પડશે.

એક તો બીમારીના સમયે આપણી કાર્યક્ષમતા ઓછી થઈ જશે અને બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે આપણે તે દિવસે કામની સંપૂર્ણ મજા નહિ લઈ શકીએ. જેમ બાકી સામાન્ય દિવસોમાં કામની એક અનોખી મજા આવતી હોય છે. પણ આપણે એમ વિચારીએ છીએ કે, આજે તબિયત બરાબર સારી લાગતી નથી તો લાવ થોડો આરામ કરી, કોઈ ડોક્ટરને બતાવું. તો બીજા દિવસે હું પૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરી શકીશ? તો કોઈને જવાબ મળશે – હા કે ના…

જેમ આપણે આપણા શરીરનું ધ્યાન રાખીએ છીએ તેમ આપણે આપણી આત્માના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપીએ, તો જીવનમાં નિશ્ચિંત બનીને કાર્ય કરી શકીશું. જીવનમાં આપણને માનસિક આનંદ નથી મળતો ત્યારે જીવન અર્થ વગરનું બની જાય છે. આવા સંજોગોમાં આપણે મનથી ખુશ રહેવા કેટલાક અન્ય ઉપાયો પણ કરવા પડે છે.

જયારે કોઈ સાધન સારી રીતે ચાલતું હોય, ત્યારે તે આપણને સારું પરિણામ આપે છે. પણ જો વચ્ચે-વચ્ચે મશીનમાં તેલ ન પૂરીએ, સાફ-સફાઈ ન કરીએ, તો એક દિવસ એવો આવશે કે મશીન અચાનક ખરાબ થઈ જશે અને બંધ થઈ જશે. પછી આપણે કહીશું કે મશીન બરોબર ચાલતું નથી. પણ જો નિયમિત રીતે મશીનમાં તેલ પૂરવામાં આવે અને વચ્ચે-વચ્ચે તેને ચેક કરવામાં આવે, તેની સાર-સંભાળ બરોબર રાખવામાં આવે તો તે લાંબા સમય સુધી સારી રીતે કામ આપતું રહેશે. તે પ્રમાણે જીવનમાં પણ સંતુલન અતિ આવશ્યક છે. વચ્ચે-વચ્ચે આપણે આપણા પોતાના મનની સાફ-સફાઈ, તેમજ એનર્જી વધારવા આધ્યાત્મિક વાંચન, મનન, ચિંતન, યોગનો અભ્યાસ કરવો જરૂરી છે.

વર્તમાન સમયે મેડીટેશન શબ્દ ખુબ જાણીતો છે. એક રીતે તો ધ્યાન કરવું એ ખૂબ અઘરી ક્રિયા લાગે છે. આખા દિવસમાં તમે ઓફિસનું, ઘરનું, પરિવારનું, પોતાની ચીજ-વસ્તુઓ ત્યાં સુધી કે પોતાના પ્રિય વાહનનું પણ ધ્યાન રાખો છો. આપ તે પણ ખાસ યાદ રાખો છો કે અમુક સમયે ગાડીને સર્વિસિંગ માટે મોકલવાની છે. સર્વિસ વગર નહિ ચાલી શકે, તે આપ જાણો છો. માટે આપણે ગાડીને સમયાંતરે સર્વિસિંગ માટે મોકલીએ  છીએ.

આમ આપણે આ બધી ભોતિક ચીજ-વસ્તુઓનું ધ્યાન રાખીએ છીએ. તો પછી આપણે આપણા મનનું ધ્યાન શા માટે રાખતા નથી?  મોટે ભાગે બધાંને એ ખ્યાલ નથી કે મનનું ધ્યાન કેવી રીતે રાખવું? તે કોઈની પાસે શીખવા જવાની જરૂર નથી કે પુસ્તક વાંચવાની જરૂર નથી. માત્ર આપણે તેની અગત્યતા સમજી સ્વયંથી જ શરૂઆત કરવાની છે.

જ્યારે પણ આપણે કોઈને પૂછીએ કે આખા દિવસમાં તમે તમારું કેટલું અને કેવું ધ્યાન રાખો છો? તો જવાબ મળશે અમે અમારા શરીરનું ધ્યાન તો રાખીએ જ છીએ. તેને સાફ-સ્વચ્છ રાખીએ છીએ. કસરત પ્રાણાયામ, ભોજનમાં ચરી (પરહેજ) પાળીએ, બધી બાબતોનું ધ્યાન રાખીએ છીએ. જ્યારે જ્યારે તેમના પોતાના વિશે પૂછીએ ત્યારે મોટાભાગે શરીરનું ધ્યાન (બાહ્ર્ય બાબતોનું) ધ્યાન રાખવાની જ વાતો કરવામાં આવે છે. પ્રશ્ન પૂછીએ કે મનનું ધ્યાન કોણ રાખશે? તો જવાબ મળશે કે મારા મનનું ધ્યાન ઉપરવાળા ભગવાન રાખશે. અર્થાત મનનું ધ્યાન રાખવાની જવાબદારી ભગવાનની છે, તેમ સૌ સમજે છે. આપણે સત્સંગમાં, મંદિરમાં કે ધાર્મિક સ્થળો પર કેમ જઈએ છીએ? કે થોડો સમય ત્યાં જવાથી પુણ્ય જમા થશે. આપણને સારા સંસ્કારો મળશે, સારા વિચારો મળશે, સારી નવી-નવી જ્ઞાનની વાતો જાણવા મળશે અને સારા કામ થશે. શું આપણે વિચારોમાં પરિવર્તન કરવા, સારા સંસ્કારોના ઘડતર કરવાના લક્ષ્ય સાથે સત્સંગમાં જઈએ છીએ?

આપણે સત્સંગમાં એટલા માટે જઈએ છીએ કે, એક-બે કલાક બેસવાથી સારી-સારી વાતો સાંભળવા મળે છે. તે સમયે સારી વાતો સાંભળીને કહીએ છીએ કે બહુ સરસ. હવે આવતા અઠવાડિયે ફરી મળીશું. પણ જયારે એક અઠવાડિયા પછી પણ આપણા જીવનની દિનચર્યા પહેલાની જેમ જ દુઃખ, અશાંતિ, તણાવના વાતાવરણ વાળી જ જોવા મળે છે. વળી ફરી આપણે અઠવાડિયા પછી સત્સંગમાં જઈએ છીએ. ત્યારે પણ આપણા મનનું ધ્યાન રાખવાનું લક્ષ્ય તો હોતું જ નથી. વાસ્તવમાં જીવનમાં પરિવર્તન લાવવા માટે અન્ય ચીજ-વસ્તુઓનું ધ્યાન રાખવાની સાથે આપણે આપણા મનનું ધ્યાન રાખવાની બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ. જીવનમાં બધી વાતોનું ખ્યાલ રાખનારૂ તો મન જ છે ન કે શરીર. જો મન ખુશ હોય પણ શરીર થોડું બીમાર હોય તો પણ આપણે રોજિંદી પ્રવૃત્તિ ચાલુ રાખી શકીશું. પણ મન જ દુઃખી અને અશાંત હોય તો ચોમેર સુખ સંપતિના સાધનોમાંથી મનની શાંતિ મળશે નહિ.

આજે આપણે બધી વાતોમાં એકબીજા ઉપર આધારિત થઈ ગયા છીએ. દિવસ દરમિયાન આપણે પોતાના શરીરના સુખનું ધ્યાન રાખીએ છીએ. શરીર માટે ગાડી, શરીર માટે મકાન, બધું શરીર માટે જ કરી રહ્યાં છીએ. સાથે-સાથે આપણે એ ભૂલી જઈએ છીએ મારે મારા મનનું ધ્યાન રાખવાનું છે. જો આપણે આપણા પોતાના મનનું ધ્યાન રાખી શકતા નથી તો બીજાના મનનું ધ્યાન કેવી રીતે રાખી શકીશું? પરિવારનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી છે. પરિવારમાં પણ આપણે ફક્ત તેમના શરીરનું જ ધ્યાન રાખી શકીએ છીએ. કોઈના મનનું ધ્યાન ન રાખી શકીએ. સારી સ્કૂલ, સારું શિક્ષણ, સારા કપડાં અર્થાત તમામ બાબતો સારી-સારી જ જોઈએ. બાળકોના ભાવનાત્મક સ્વાસ્થ્યનો ખ્યાલ તો કોઈ રાખી રહ્યું નથી. જયારે ધ્યાન રાખવાની વાત આવે છે તો પહેલા સ્વયંનો ખ્યાલ (ધ્યાન) રાખ્યા વગર બીજાનો ખ્યાલ (ધ્યાન) નહીં રાખી શકીએ.

આજે મારી પાસે બે રોટલી છે જે ખાધા વગર હું તમને ખવડાવી શકું છું. હું મારા માટે નવા કપડા નહીં લઉં. પરંતુ મારા બાળકો માટે નવા કપડાં લઈ શકું છું. પરંતુ હું પોતે ખુશ રહ્યા વગર બીજાને ખુશી નથી આપી શકતી. ખુશી એક એવી ચીજ છે કે જે પોતે અનુભવ કર્યા વગર બીજાને આપી નથી શકાતી. તે માટે સૌ પહેલાં તો પોતાનું ધ્યાન રાખવું પડશે, ત્યાર બાદ જ અન્ય લોકોનું ધ્યાન રાખી શકીશું. જો તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો તો તમારા બાળકો પણ મજબૂત રહેશે. તે માટે તમારે વધારે મહેનત નહીં કરવી પડે. પરંતુ જો તમે અશાંત હશો, તો તમારો સ્વભાવ ચીડિયો થશે, વારંવાર ગુસ્સો કરતા રહેશો તો પરિણામે તમારી નૈતિક શક્તિ ઓછી થતી જશે.

આ મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આપણે સર્વ બાબતો માટે ધ્યાન રાખી શકીએ છીએ પરંતુ જો મનનું ધ્યાન નથી રાખી શકતા તો બીજા કોઈનું પણ ધ્યાન નહીં રાખી શકાય. વાસ્તવમાં જોઈએ તો આપણે અન્ય વ્યક્તિઓનું ધ્યાન રાખવા જતાં, આપણે આપણા મનનું ધ્યાન જ નથી રાખી શક્યા. તો હવે આપણે બીજાની ભાવનાઓનું, બીજાની અપેક્ષાઓનું પણ ધ્યાન કેવી રીતે રાખી શકીએ? માટે ચાલો શરૂઆત કરીએ આજથી આપણે આપણા પોતાનાથી.

ખુશી કોને કહેવાય ભાગ-1 વાંચવા માટે અહીં ક્લિક કરો…https://chitralekha.com/religion/brahmakumari/what-is-called-happiness/

શારીરિક, માનસિક અને ભાવનાત્મક જડતા

$
0
0

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

યોગાસનના અભ્યાસ દરમ્યાન, તમને સમજાય છે, કે તમે શારીરિક રીતે કેટલાં કઠોર છો. એજ રીતે મન અને ભાવનાઓની સખ્તાઈને જાણવા માટે થોડી વધારે જાગરૂકતાની જરૂર છે. કોઈ વ્યક્તિ જે તેના વિચારો અને લાગણીઓમાં ખુબ સખત છે, તે માને છે કે પોતે આદર્શ વ્યક્તિ છે, કારણકે તે કોઈપણ બીજી રીતે જોવા, વિચારવા કે અનુભવ કરવા તૈયાર નથી. જ્યારે આવા વ્યક્તિને તમે મળો, તમને લાગે કે તે અડીયલ છે પરંતુ તે પોતાને પરિપૂર્ણ ગણે છે.

તેજ રીતે ઉર્જાના સ્તર પર જડતા હોય શકે. એ લોકો જેમની ઉર્જા એકદમ તરલ છે, પહેલાં દિવસની કોઈપણ સરળ ક્રિયાથી તેમની ઉર્જાઓમાં હિલચાલ અને પરિવર્તન આવશે. જયારે બીજા કોઈ વ્યક્તિ માટે, ઘણાં લાંબા સમયના અભ્યાસ પછી પણ, કંઈ થતું નથી. આ બધું, તમારી, ઊર્જાઓ કેટલી સરળ છે તેની પર નિર્ભર કરે છે. આ બધા સ્તરની કઠોરતા અલગ નથી, પણ એકબીજા સાથે જોડાયલી છે. કોઈ એક સ્તરની કઠોરતા બીજા ઘણાં બધા સ્તરમાં પરિવર્તીત થઈ શકે છે.

પતંજલિના માર્ગ પર, યોગ એક એવી પધ્ધતિ છે, જ્યાં તમે ગમે એવા મુર્ખ હોવ, કે ગમે એ સ્તરની અજાણતામાં હોવ કે પછી ગમે એ પ્રકારના કર્મ બંધન ધરાવતા હોવ, તેનાથી કોઈ ફરક નથી પડતો, દરેક વ્યક્તિ માટે માર્ગ છે. જો તમે, ખાલી તમારા શરીરને વાળવાની તૈયારી બતાવો, તો તમે એક કર્મ તોડી ચુક્યા છો. જો તમારું માથું તમારા ઘૂંટણને અડે તો તમે એક ભૌતિક કર્મ તોડી નાખ્યું. આ મજાક નથી, કારણકે, જેણે ક્યારેય આવું ન કર્યું હોય તેની માટે આ એક સિદ્ધિ છે. એક દિવસ એવો પણ હશે કે તમે શારીરક અને માનસિક રીતે એકદમ સખત હશો.

આવું બધા સાથે થાય છે. તમે તમારા જીવનને જુઓ, કે શારીરિક તથા માનસિક રીતે, ૧૦ વર્ષની વયે તમે કેટલા લચીલા હતા. ૨૦ વર્ષની વયે આ લચક ઘણી ઓછી થઇ જાય છે અને ૩૦ વર્ષની ઉમરે લગભગ ગાયબ થઇ જાય છે. ખાલી શારીરિક સ્તર પર નહીં પણ માનસિક સ્તર પર ઘણી જડતા આવી ગઈ છે. મોટા ભાગના લોકો માટે જીવન ફક્ત પીછેહઠ છે. જે પણ ફાયદાઓ સાથે તમે જન્મ્યાં હતા, તેને વધારવાને બદલે તમે તેમાં ઘટાડો કર્યો છે.

આ માર્ગ એમતો ખુબ જ સરળ છે, પરંતુ તમારા અને તમારા વ્યક્તિત્વના લીધે તે ઘણો ગુંચવાઈ ગયો છે. એક વ્યક્તિ, આધ્યાત્મિક માર્ગમાં, જે ગુંચવણનો સામનો કરે છે, તે આના લીધે નથી, એ તમારા મનની ગડબડના કારણે છે. તમારી અંદર બધુ સખત થઈ ગયું છે, કંઈ પણ હલતું નથી, જાણે તમે સખ્તાઈના ખાંચામાં ફસાઈ ગયા છો.

પરંતુ જો તમે ગુરુની કૃપા થવા દો, તો માર્ગ ઘણો સરળ છે, કારણકે માર્ગ જ લક્ષ્ય છે. જો તમે ફક્ત અહીં સ્થિર થઈને બેસો, તો બધું જ અસ્તિત્વ સાથે એક થઈને કંપન કરશે અને તમે જાતે પણ અસ્તિત્વ સાથે કંપન કરશો.

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)

 

નકારાત્મકતા શું છે? 

$
0
0

ઘણી વખત અચાનક જ તમારું મન ખિન્ન બની જાય છે. મન ઉપર કોઈ બોજ હોય તેવું લાગ્યા કરે છે. ભીતર સંકોચનનો સતત અનુભવ થાય છે. નકારાત્મકતાના વાદળો તમારી પર છવાઈ જાય છે. આ સ્થિતિમાં તમે રૂંધાઇ જાઓ છો. આ મનોસ્થિતિમાંથી બહાર આવવાની તમારી તીવ્ર ઈચ્છા છે, પરંતુ તેમાંથી કઈ રીતે બહાર નીકળવું તે તમે જાણતા નથી. આ સંજોગોમાં શું કરવું જોઈએ?

સૌ પ્રથમ તો સમજીએ કે નકારાત્મકતા શું છે? નકારાત્મકતા એટલે પીડા, દુઃખ ની લાગણીનો અનુભવ! જ્યાં તમે ખુશી અને આનંદની પ્રાપ્તિની અપેક્ષા રાખી છે, ત્યાંથી જ દુઃખ મળે છે અને નકારાત્મક સંવેદના ઉત્પન્ન થાય છે. એવું દરેક કાર્ય, ઘટના કે જેમાં શરૂઆતમાં તો ખુશી મળે છે, પણ અંતે મન બોઝીલ બની જાય છે ત્યારે નકારાત્મક સંવેદનો ઉદ્ભવે છે. જેમ કે, જયારે તમે મિત્રો સાથે મળીને કોઈ અન્ય વ્યક્તિ વિષે ઘસાતું બોલો છો, નિંદા કરો છો ત્યારે શરૂઆતમાં મજા આવે છે, પણ પછી તમારું જ મન શું થાકી નથી જતું? ભારે નથી બની જતું? તો પ્રારંભમાં આભાસી આનંદ અને અંતમાં પીડા એટલે નકારાત્મકતા!

ઈર્ષા, લોભ, ગુસ્સો, તિરસ્કાર, અપરાધબોજ, ભય, ચિંતા આ સઘળી નકારાત્મક ભાવનાઓ મહદઅંશે નકારાત્મક વિચારોને કારણે ઉત્પન્ન થાય છે. આવી સંવેદનાઓ ઉત્પન્ન કરતા નકારાત્મક વિચારોને કઈ રીતે રોકી શકાય?

અસંભવ લાગતું આ કાર્ય વાસ્તવમાં એટલું કઠિન નથી. કેટલાક સરળ ઉપાયો દ્વારા ચોક્કસપણે નકારાત્મક વિચારોને દૂર કરી શકાય છે.

૧. નિયમિત વ્યાયામ કરો. સૂર્યનમસ્કાર કરો. ચાલવા જાઓ. તમારા પાચનતંત્ર પર ધ્યાન આપો. જો ખોરાકનું પાચન બરાબર થતું નથી તો નકારાત્મક વિચારો આવે છે. તો શરીરને શુદ્ધ રાખો, જંક ફૂડનો ઉપયોગ ન કરો, આયુર્વેદની મદદ લો.

૨. વિચારો વાદળ જેવા છે તે સમજી લો. આકાશમાં તરતાં વાદળોને આપણે ગોઠવી શકતાં નથી તે જ રીતે વિચારો પણ સતત આવે છે અને જાય છે. નકારાત્મક વિચાર આવે તેનો વિરોધ ન કરો. તેને આવવા દો. તેની સાથે હાથ મિલાવો અને જૂઓ કે તરત જ એ વિચાર અલોપ થઇ જશે.

૩. મન અને શરીર બંનેને વ્યસ્ત રાખો. સતત પ્રવૃત્તિ કરતાં રહો. સંગીત, નૃત્ય, ચિત્રકલા એવી કોઈ પણ કલા શીખો. સારા પુસ્તકોનું વાંચન કરો. મંત્ર જાપથી પણ તરત જ નકારાત્મક વિચારો દૂર થાય છે.

૪. જાણી લો કે ભાવનાઓ અને વિચારો કરતાં તમારું અસ્તિત્વ વિશાળ છે. એ વિશાળતાનો અનુભવ કરો. લોકોને મદદ કરો. જયારે પણ નકારાત્મક વિચારો ઘેરી વળે ત્યારે ઉઠો અને આસપાસના લોકોને પૂછો કે હું તમારી શું મદદ કરી શકું? મદદરૂપ થવાનો ભાવ નકારાત્મક વિચારોને તરત જ દૂર કરે છે.

૫. પ્રાણાયામ અને ધ્યાન કરો. માત્ર 20 મિનિટનું ધ્યાન ઊંડો વિશ્રામ આપે છે. પ્રાણ ઉર્જાનો સંચાર કરે છે. મન જયારે પ્રાણ ઉર્જાથી ભરેલું હોય છે ત્યારે કોઈપણ નકારાત્મક વિચાર નિકટ આવી શકતો નથી.

-તો, સ્મિત કરતાં રહો. પ્રસન્ન રહેવાની આદત કેળવો. જે પરમ શક્તિ સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે તેના પર શ્રદ્ધા રાખો. જાણો કે નકારાત્મક વિચારો પર વિજય મેળવવા તમે સક્ષમ છો. વર્તમાન ક્ષણમાં રહો અને જૂઓ કે તમે મુક્ત છો, તૃપ્ત છો, આનંદસ્વરૂપ છો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

ખુશી મેળવવા મનનું ધ્યાન જરૂરી

$
0
0

(બી.કે. શિવાની)

જ્યારે આપણે આધ્યાત્મિકતાની વાત કરીએ છીએ ત્યારે એવું લાગે છે કે આપણે જાણે કોઈ બીજાની વાત કરવાના છીએ. પરંતુ જયારે આપણા પોતાના જીવનની સંબંધિત વાત હોય ત્યારે આપણે રસપૂર્વક સાંભળીએ છીએ. જીવનમાં મોટાભાગની બધી ચીજ વસ્તુઓ જેવી કે ધન, સાધન, સંપતિ, જમીન, મકાન, પરિવાર, માન-મોભો, ઉંચો હોદ્દો, પ્રતિષ્ઠા હોવા છતાં પણ ઘણી વાર એવું અનુભવીએ છીએ કે આપણે ખુશ નથી. હવે આપણે એવાં તારણ ઉપર પહોંચીએ છીએ કે, આપણે બધાનું ધ્યાન તો રાખીએ છીએ પરંતુ હું પોતે જે છું – આત્મા તેનું ધ્યાન આપણે રાખી શકતા નથી. આત્માનું ધ્યાન કેવી રીતે રાખી શકાય?

તો ચાલો, તેની સાથે જોડાયેલ કેટલીક સારી-સારી વાતોની ચર્ચા આપણે કરીએ.

આપણે આપણાં પોતાના શરીરનું કેટલું બધું ધ્યાન રાખીએ છીએ? આરામદાયક જિંદગી, સારું-સારું જમવાનું, સારા બ્રાન્ડેડ, નવી આધુનિક ઢબના કપડાં પહેરવા, બાળકોને સારામાં સારી રીતે ઉછેરવા, કાર પણ વાતાનુકૂલિત હોવી જોઈએ.. આમ, આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી પાસે તમામ આધુનિક અને અદ્યતન સાધન-સામગ્રી હોવી જ જોઈએ. કોઈ અસુવિધા કે ખામી ન હોવી જોઈએ. પરંતુ આપણે મન વિશે ભૂલી જ જઈએ છીએ. કદાચ મનનું ધ્યાન રાખવાનું આપણને આવડતુંય નથી.

દરેક વ્યક્તિ પોતાની જાતને પૂછે કે હું ખુશ કેટલો રહું છું? મારા મનની સ્થિતિ કેવી છે? કોઈપણ વ્યક્તિ સચોટ રીતે નહીં બતાવી શકે કે પોતાની ખુશીનો ઇન્ડેક્સ (આંક) કેટલો છે? પરંતુ બધા તરફથી એક સર્વ સામાન્ય જવાબ મળે છે કે, જેટલી ખુશી જીવનમાં મળવી જોઈએ તેટલી ખુશી તો મળતી જ નથી. દરેક વ્યક્તિએ પોતાની જાતને જોઈ, ચેક કરવાની હોય છે. કારણ કે બની શકે કે હું તમને કહું કે તમે ખુશ લાગતા નથી. પણ અંદરથી તમે બહુ જ ખુશ-મિજાજમાં હોઈ પણ શકો. જે મને તમારા બાહ્ર્ય દેખાવ પરથી ખ્યાલ ન પણ આવે.

ખુશી એ કોઈ બીજા કોઈ વ્યક્તિ દ્વારા મળનાર પ્રમાણપત્ર નથી. આ એક એવી બાબત છે કે જેને માત્ર ને માત્ર તમે જ જાણી શકો છો અને અનુભવી શકો છો કે તમે અંદરથી કેટલા ખુશખુશાલ છો. ઘણીવાર એવું પણ બને છે કે, જ્યારે તમે એક સંચાલકના સ્થાને હો ત્યારે તમારે તમારો ચહેરો હસતો રાખવો પડે છે. બહારથી સુંદર દેખાવ રાખવો પડે છે કે શક્તિશાળી બનીને કૃત્રિમ રીતે હસતાં પણ રહેવું પડે છે.

તમે અંદરથી ઘણાં દુઃખી કે અશાંત હો, પરંતુ તમારે તમારા ચહેરા ઉપર હંમેશા ખુશી રાખવી કરવી પડે છે. પ્રેમથી બધાનું સ્વાગત કરવું પડે છે પરંતુ કોઈક વાર એવું પણ બની શકે કે આજે તમે અંદરથી ખુશ નથી, નારાજ છો, મૂડ નથી. આવું બનતું હોય છે કે નથી? હા, આવું પણ બની શકે છે.

આજે તમે તમારી આંતરિક શક્તિ કરતા પણ ઘણું વધારે કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો છતાં પણ તમને આનંદ મળતો નથી. પછી આપણે અંદરથી મનોમન એમ કહીએ છીએ કે બીજા લોકો મારા કામથી કે મારાથી ખુશ નથી. પણ તમે પોતે જ આનંદમાં નથી તો તમારા દ્વારા કરેલા કામમાં પણ તે આનંદ ઝલકાશે નહીં.

માનો કે, આજે તમે બાળકો માટે ખૂબ જ પ્રેમથી તેમને ભાવતી વાનગી (પીત્ઝા) બનાવી. તમે એવું સમજીને પીત્ઝા બનાવ્યા કે આજે તો બાળકોને મારા બનાવેલા પીત્ઝા ખૂબ ભાવશે. બાળકોએ તે ખાધા, પરંતુ તેમને સારા ન લાગ્યા. તમે તો બહુ જ ખુશીથી બનાવેલા. પરંતુ તેઓ પીઝા ખાઈને જેટલા આનંદિત કે ખુશ થવા જોઈએ તેટલા ના થયા. તો તેમને જોઇને તમે દુઃખી થઇ ગયા. પછી તમને આવેશ કે ગુસ્સો આવવો શરૂ થઈ ગયો. આ પરિસ્થિતિમાં આધ્યાત્મિક પાસું  જોઈએ તો એમ કહી શકાય કે, તમે તે પીત્ઝા ખુશ થઈને નહોતા બનાવ્યા.

 

તમે મનોમન એમ વિચારતા હતાં કે બાળકો પીત્ઝા ખાઈ ખુશ થશે અને બાળકો ખુશ થશે એટલે મને આનંદ થશે. આમ આ બાબતમાં આપણે મનમાં એક દ્રશ્ય તૈયાર કરવાનું શરૂ કરીએ કે એકાદ કલાક પછી આવું થશે. હું પીત્ઝા બનાવીશ. બાળકો પાસે લઈને જઈશ. બાળકો પીત્ઝા જોઈ ખુબ ખુશ થઈ ગયા છે. ખૂબ હોંશે-હોંશે પ્રેમથી જમી રહ્યાં છે. આ દ્રશ્ય જોઈ મને ખૂબ આનંદ થાય છે. આ જ તો મનની શક્તિ છે. જેને આપણે જાદુના ચિરાગની જેમ વાપરવાની છે. જે પરિસ્થિતિ હજી આવી નથી, તેને આપણે પહેલેથી જ બુદ્ધિ દ્વારા જોવાનું શરૂ કરી દઈએ. હજી તો પીત્ઝા બન્યા પણ નથી. પરંતુ હું જે દ્રશ્ય મનમાં ઉત્પન્ન કરું છું તે દ્રશ્ય મને આનંદ અને ખુશી આપવાનું શરૂ કરી દે છે. સાથે-સાથે આપણું મન તે માટે તૈયાર પણ થઈ રહ્યું છે કે, આ રીતે બાળકો ખુશ થશે. તેઓને ખુશ જોઈને હું પણ ખુશ થઈશ.

પરંતુ ધારો કે જે વાસ્તવિક ઘટના બની તે માટે આપણે તૈયાર કરેલ દ્રશ્ય સાથે સામ્યતા ધરાવતી નથી. ઉદાહરણ રૂપે – પીત્ઝા ખાવાથી બાળકો ખુશ ના થયા તો તેનું પરિણામ કેવું આવશે? આપણા મનમાં નિરાશા અને દુઃખની લાગણીઓ શરૂ થઈ જાય છે. આપણે આપણા મનને પહેલેથી જ તૈયાર કર્યું હતું ને! મનની એટલી તૈયારી હતી કે બાળકોને પીત્ઝા સારા લાગશે. તેઓ પીઝાના અને મારા બનાવવાના પણ વખાણ કરશે. તેઓ ખુશ થશે અને હું પણ ખુશ થઈશ. આ રીતે આપણે મનની ખુશી માટે પુરી રૂપરેખા તૈયાર કરી. જે માટે જરૂરી બાબત એ હતી કે બાળકો ખુશ થશે, પરિણામે હું ખુશ થઈશ. પણ જ્યારે આખી ઘટના જ બદલાઈ ગઈ તો પરિણામ તો તેની જાતે જ બદલાઈ જશે. મનનું આ પ્રોગ્રામિંગ આપણે પીત્ઝા બનાવતી વખતે કર્યું હતું. પીત્ઝા તો હું બનાવી રહી છું. મન તો ફક્ત દ્રશ્ય ઉત્પન્ન કરી રહ્યું છે.

આ પરિસ્થિતિમાં આપણે એ રીતે વિચારવું જોઈએ કે હું હંમેશા આનંદમાં છું. પીત્ઝા બનાવતી વખતે પણ આનંદમાં છું અને બાળકોને ખવડાવતી વખતે પણ ખૂબ ખુશ છું. ખુબ જ પ્રેમથી તેમને પીત્ઝા પીરસી રહી છું. જો બાળકોને પીત્ઝા પસંદ ના આવ્યા તો તે તેઓની પસંદગી તથા સ્વાદનો પ્રશ્ન છે. આનંદ કે ખુશીનો નહીં. પરંતુ જો આપણે બંને બાબતોને ભેગી કરી દઈશું તો આપણું અભિમાન જ આપણને દુઃખી કરશે. પ્રશ્ન સ્વાદનો છે. બની શકે કે બાળકોને તે પસંદ ન આવે.

પરંતુ મેં તરત જ પ્રતિક્રિયા કરી દીધી કે, મેં આટલી બધી મહેનતથી તમારા માટે પીત્ઝા બનાવ્યા અને તમને તે ગમ્યાં નહિ? ભાવ્યા નહિ? તે સમયે પીત્ઝા તો એક બાજુ રહી જશે, પરંતુ જે મનદુઃખનું દૃશ્ય ઊભું થશે તે કેવું વિચિત્ર હશે? જરા વિચારો તો ખરા! આપણે કોઈ પણ કાર્યની શરૂઆત આનંદ અને ખુશી મેળવવાના હેતુથી કરેલ. પરંતુ અહી આખી વાત જ બદલાઈ ગઇ. આપણે દિવસ દરમિયાન મનમાં જે કોઈ વિચારો કરીએ છીએ તે વિચારો ઉપર જ આગળ પરિણામ આધારિત હોય છે. અત્યારે આપણે મનમાં એવા વિચાર કરીએ છીએ કે, આમ થશે તો હું ખુશ થઈશ. તેઓ મારી સાથે સારી રીતે વાત કરશે તો હું ખુશ થઈશ. ફોન આવશે તો હું ખુશ થઈશ…

ઘણીવાર આપણે વિચારીએ છીએ કે મેં મારા પતિ માટે આ કામ કર્યું. મારી મમ્મી માટે આવું કામ કર્યું.  મારા બાળકો માટે આટલું બધું કામ કર્યું વગેરે વગેરે… શું એનાથી તમને ખુશી મળી? ઘણીવાર ખુશીની પ્રાપ્તિ માટે આપણે ઘણો ત્યાગ કરવો પડે છે. હું આવું કરીશ કે આમ કામ કરીશ તો તમે ખુશ થશો. તમે ખુશ થશો તો હું ખુશ થઈશ. આ સમીકરણ બરાબર છે કે? તમે ખુશ થશો તો હું ખુશ થઈશ? પરંતુ ધારો કે સામેવાળી વ્યક્તિ ખુશ ન થઈ તો? તો શું તમારા આનંદ કે ખુશીનો આધાર બીજા વ્યક્તિની ખુશી છે? તે ખુશ તો જ તમે ખુશ? તો આ તો એવું બન્યું કે ચાવીવાળા રમકડાંની જેમ જેટલી ચાવી ભરો તેટલાં તે રમકડાં ચાલે, જયારે ચાવી પૂરી થઇ જાય ત્યારે ફરીથી ચાવી ભરવી પડે.

આપણે આપણા મૂડ, આનંદની ચાવી બીજાના હાથમાં આપી દઈએ છીએ. તે વ્યક્તિ જો કોઈ પોતાની વાતમાં-ચિંતામાં ડૂબેલી હોય તો તે મને પણ ચિંતા, દુઃખ-દર્દ અને તણાવના જ વાઇબ્રેશન આપશે. તેથી આપણે આનંદના બદલે ચિંતા, તનાવમાં આવી જઈશું. મારા પડોશી બેન થોડા સમય પછી તેમનાં પતિદેવનો જન્મ દિવસ આવતો હોય તેમને ભેટ આપવા એક સુંદર શર્ટ ખરીદી લાવ્યા. જયારે ખરીદી કરવા જવાનું હતું ત્યારે તેમની પાસે વાહન ન હતું. બે બસ બદલીને ખૂબ મહેનત કરી સારી દુકાનમાંથી શર્ટ લાવ્યા. પરંતુ તે શર્ટ તેમના પતિદેવને પસંદ ન આવ્યું. તેમણે કહ્યું કે, આ શર્ટ તો હવેથી હું રોજ રાત્રે પહેરીને સૂઈ જઈશ. આ સાંભળીને શર્ટ તો બાજુમાં રહી ગયું, પણ પત્નિને બહુ જ ખરાબ લાગ્યું. હવે તમે સમજી ગયા હશો કે, ત્યાર બાદ શું થયું હશે? જો બીજા લોકો ખુશ થશે તો હું ખુશ થઈશ! આ રીતે મનનું પ્રોગ્રામિંગ કરવાથી આપણાં આનંદ અને ખુશીનો આધાર અન્ય લોકો બની જાય છે. આપણો આનંદ તેમનાં આધારે રાખવાની એક પ્રકારની ટેવ થઈ જાય છે.

તમારી નજીકના કોઈ સગાં-સબંધી બીમાર હોય કે દુ:ખી હોય તેવા સંજોગોમાં તમે તેમનું ધ્યાન  ત્યારે જ રાખી શકશો જયારે તમે અંદરથી સ્વસ્થ અને આનંદમાં હશો. આ કોઈ સ્વાર્થની વાત નથી. આનો મૂળમંત્ર તો એ છે કે, જો તમે માનસિક રીતે સ્વસ્થ અને આનંદિત રહેશો તો જ અન્યની સાર-સંભાળ રાખી શકશો. માનો કે સવારે તમે બહુ જ સારા મૂડમાં હતાં. પરંતુ ઘરમાં બીજાનો મૂડ બરોબર ન હોવાથી તમે ચિંતા અને ટેન્શનમાં આવી અશાંત થઈ ગયા. તમે આ તમામ દોષ બીજાને આપો છો કે, તમને તો ગમતું જ નથી કે હું ખુશ રહું. તમે મારી સાથે એવી રીતે વાત કરી કે, મારો મૂડ જ ખરાબ થઈ ગયો. બીજાનો મૂડ બરાબર નથી તે તેમના મનની સ્થિતિ છે. પરંતુ હું મારા મન ઉપર નિયંત્રણ ન રાખી શકું? મારા મનને ખુશ અને આનંદિત રાખવું તે મારી પ્રથમ જવાબદારી છે અને તે ફક્ત મારા જ હાથમાં છે.

વધુ આવતા લેખમાં…

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર 2019 દ્વારા સમ્માનિત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનના કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ અને લોકપ્રિય વક્તા છે.)

પોતાની સાથે પ્રમાણિક અને સરળ રહો

$
0
0

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

જ્યારે આપણે આધ્યાત્મિક પ્રક્રિયાઓ ની વાત કરીએ છીએ, ત્યારે તે વસ્તુઓ, જેના વિષે આપણે કંઈ જ જાણતા નથી તેના વિષે તારણો અથવા નિષ્કર્ષો બાંધવા ની વાત નથી કરતા. જો તમારા માં આટલું જોવાની પ્રમાણિકતા છે કે, “જે હૂં જાણું છુ, હૂં જાણું છું. જે હૂં નથી જાણતો, હૂં નથી જાણતો,” તો તમે પહેલેથી જ એક મુમુક્ષુ છો. આધ્યાત્મિકતાનું મૂળભુત પાસું આ છે “મારું મગજ કઈ ફરેલું નથી કે હૂં કલ્પનાઓ માં રાચું. હૂં તૈયાર છું એ સ્વીકારવા માટે કે હૂં શું જાણું છું અને નથી જાણતો. એક વાર તમે આ જોઇલો, તો મનુષ્યની બુદ્ધિનો સ્વભાવ જ એવો છે કે તે “હૂં નથી જાણતો” સાથે રહી ના શકે. તે જાણવા માંગશે. એક વાર જાણવાની ઈચ્છા થાય, તો શોધ શરૂ થશે. એક વાર શોધ શરૂ થઇ, તો એનો માર્ગ પણ મળશે. એટલા માટે, તમે જ્યારે આધ્યાત્મિક માર્ગ પર ચાલો છો તો અમે તમને ખોજી/જિજ્ઞાસુ કહીએ છીએ.

પણ અત્યારે, એવું લાગે છે કે જાણે આખી દુનિયા આ સરળ “હૂં નથી જાણતો” ની વિરૃદ્ધ છે. આપણે જે કંઈ પણ નથી જાણતા તે આપણે માની લઇએ છીએ. તમે તમારું નામ બોલતા શીખો તે પેહલા તો, ભગવાન કોણ છે? તેમનાંપત્ની કોણ છે? તેમનાં કેટલા સંતાનો છે? તેમનું સરનામું શુ છે? તેમની જન્મતારીખ? એમને શું ગમે છે? એમને શું નથી ગમતું? – આવું બીજું ઘણું બધું જાણો છો. તમને આવા બેવકૂફીભર્યા સૂચનો અને જવાબો આપવાને બદલે, જો તમારા માતાપિતા અને સમાજે “મને ખબર નથી” નું પોષણ કર્યું હોત – કે વાસ્તવ તમે કશું જ જાણતા નથી – તમે ક્યાં થી આવ્યા છો, તમે ક્યાં જશો, તમે આ બંને વસ્તુ નથી જાણતા. તો પછી દરેક મનુષ્ય આ દુનિયા માં રહસ્યવાદી બની ગયો હોત કારણકે માણસની બુદ્ધિ ફક્ત ખાવું, પીવું અને સારી રીતે જીવવાથી સંતોષ પામતી નથી. સ્વાભાવિક રીતે તેને જાણવાની ઈચ્છા હોય છે. અમુક લોકો માને છે કે આ એક સમસ્યા છે, પણ આ એક સંભાવના પણ હોઈ શકે છે. તમે એને આ રીતે અથવા તે રીતે જોઈ શકો છો. અમુક લોકો એમ વિચારે છે કે આ એક મોટી સમસ્યા છે પણ આ એક મોટી સંભાવના પણ છે.

“હું જાણતો નથી” એ પૂરેપૂરું નષ્ટ થઇ ચૂક્યું છે, કારણકે તમે જીવન ના મૂળભૂત પાંસાઓ વિષે તમારે પાસે જે રેડીમેડ.. તૈયાર જવાબો છે તેમનો વિશ્વાસ કરો છો.  એક વખત તમે તે માની લો, જે તમને નથી જાણતા કારણકે તમારી પુસ્તક માં લખેલું છે અથવા કોઈક એવું  કહે છે – બધા પુસ્તકો અને ભૂતકાળ ના મહાપુરુષો પ્રત્યે પૂર્ણ આદર સાથે કહું છું – તમે જાણવા ની બધી શક્યતાઓ નો નાશ કરો છો. દાખલા તરીકે,  હું તમને કંઈક કહું છુ જે તમે નથી જાણતા અને જે તમારા અનુભવ માં નથી, હવે તમારી પાસે ફક્ત બેજ વિકલ્પ છે તમે મને માનો અથવા મને નકારી દો. જો તમે મારી વાત માની લો છો તો તમે વાસ્તવીકતાની વધુ નજીક નથી જતાં. જો તમે મને નથી માનતા તો પણ તમે વાસ્તવિકતાની વધુ નજીક નથી જવાના. જો તમને કંઇક જાણવું  હોય તો તમારે વાસ્તવિકતાના સંપર્ક માં રહેવું પડે. નહીંતર તમે ક્યાંય નહિ પહોંચી શકો. અને તમે માત્ર એવા વહેમ માં રહેશો કે તમે બધું જાણો છો.

આજે વિશ્વમાં પૂરતી બુદ્ધિમત્તા છે લોકોની જાગરૂકતાને એક ચોક્કસ સ્તર સુધી વિકસાવવા માટે જેથી તેઓ જોઈ શકે: જે તેઓ જાણે છે, તેઓ જાણે છે અને જે તેઓ નથી જાણતા, તેઓ તે નથી જાણતા. આ હોવાનો એક સરળ માર્ગ છે. જો તમે દુનિયામાં કોઈની સાથે પ્રમાણિક નથી હોઈ શકતા, તો આ એક સામાજિક સમસ્યા છે – એ તમારે જોવાનું છે. પણ જો તમે આધ્યાત્મિક વિકાસ કરવા માંગો છો, તો તમે ઓછા માં ઓછુ આ એક પગલું ભરો તમારા જીવન માં: પોતાની સાથે સંપૂર્ણપણે પ્રમાણિક બનો.

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)


કોઈ વ્યક્તિ આત્મહત્યા શું કામ કરે છે?

$
0
0

કોઈ વ્યક્તિ આત્મહત્યા શું કામ કરે છે? પ્રેમ પામવાની ઈચ્છા પૂરી નથી થતી એટલે? અપેક્ષા મુજબ પૈસા નથી મળતા એટલે? વ્યવસાયમાં નિષ્ફળતા મળે છે એટલે? કે અભ્યાસમાં ધાર્યું પરિણામ નથી મળતું એટલે? આવી અનેક અપૂર્ણ ઈચ્છાઓ વ્યક્તિને સતત દુઃખી કરે છે. આ દુઃખ સહન નથી થતું ત્યારે વ્યક્તિ આત્મહત્યાનો પ્રયાસ કરે છે.

પરંતુ આ તો એવી વાત થઇ કે તમને ઠંડી લાગે છે અને ઠંડી સહન થતી નથી તો તમે “બહુ ઠંડી છે, બહુ ઠંડી છે” કહેતાં કહેતાં ઘરની બહાર ખુલ્લામાં દોડી જાઓ છો અને તમારું સ્વેટર પણ ઉતારી દો છો. આ તો એક મૂર્ખતાપૂર્ણ પગલું છે. શું તમે જાણો છો, જે પીડા કે દુઃખ ને કારણે વ્યક્તિ આત્મહત્યા કરીને પોતાનાં શરીરનો નાશ કરે છે, તે દુઃખનું નિવારણ માત્ર અને માત્ર શરીર દ્વારા જ થઇ શકે છે. પણ જો વ્યક્તિ પોતાનાં શરીરનો નાશ કરે છે, તો પીડા દૂર કરી શકનાર એક માત્ર સાધન, શરીર નષ્ટ થતાં, જીવ પીડા અને અતૃપ્તિ ને ક્યારેય દૂર કરી શકતો નથી, આ એક ગહન રહસ્ય છે. કેટલી બધી યોનિઓમાં જન્મ લીધા બાદ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. તેનું પૂરું સન્માન કરવામાં જ બુદ્ધિમત્તા છે.

સુખ મેળવવાની ઝંખના વાસ્તવમાં દુઃખ આપે છે. અને તમને શાની ઝંખના હોય છે? લોકોની પ્રશંસાની?

પ્રિય મિત્ર, લોકોના અભિપ્રાય સતત બદલાતા હોય છે. જેઓ તમારી સામે તમારી પ્રશંસા કરે છે, તેઓ જ પીઠ પાછળ તમારી નિંદા પણ કરતા હોય છે. પરીક્ષાઓ, પ્રણય સંબંધો, પ્રશંસા, ટીકા, કારકિર્દી કે વ્યવસાયમાં સફળતા-નિષ્ફળતા.. આ બધું જ ક્ષણભંગુર છે, બિલકુલ ક્ષણિક છે. લોકોના અભિપ્રાયના ફૂટબોલ બનવાનું છોડી દો. તમારા મસ્તિષ્ક પરથી એટલો મોટો બોજ દૂર થઇ જશે! સહજ અને હળવા બની જશો.

એ જ રીતે જયારે પ્રાણ શક્તિ ઓછી હોય છે ત્યારે વ્યક્તિ હતાશ થઇ જાય છે. પ્રાણ શક્તિ ખૂબ જ ઓછી હોય છે ત્યારે વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવે છે. જયારે પ્રાણ શક્તિ વધારે હોય ત્યારે તમે અન્ય પ્રત્યે કે સ્વયં પ્રત્યે હિંસક બની શકતા નથી. શ્વાસોચ્છવાસની પ્રક્રિયાઓ, પ્રાણાયામ, ધ્યાન અને યોગ્ય સંગત વડે પ્રાણશક્તિમાં વધારો કરી શકાય છે. જેમને આત્મહત્યાના વિચારો આવતા હોય તેમને તરત જ ધ્યાન, પ્રાણાયામ અને લયબદ્ધ શ્વસનનું શિક્ષણ આપતા પ્રશિક્ષક પાસે લઇ જવા જોઈએ. ધ્યાન અને પ્રાણાયામથી તેમની પ્રાણ શક્તિમાં ચોક્કસ વધારો થશે. સમાજ ને તણાવ અને હિંસા મુક્ત કરવા માટે ધ્યાનનું શિક્ષણ આપવું એ એક અસરકારક ઉપાય છે. જો આત્મહત્યાના વિચારો આવે તો જાણો કે તમારી પ્રાણ શક્તિ ઓછી છે. વધુ ને વધુ પ્રાણાયામ કરો.

આ પૃથ્વી પર લાખ્ખો લોકો તમારા કરતાં ખૂબ વધુ દુઃખમાં છે, જયારે તમે અન્યની સરખામણીમાં તમારું દુઃખ નાનું છે તે જોઈ શકશો ત્યારે આત્મહત્યાના વિચારો આપમેળે જતા રહે છે. જાણી લો કે પૃથ્વી પર તમારી જરૂર છે. તમે અહીં ખૂબ ઉપયોગી છો. તમે વિશ્વને બહેતર બનાવવા ઘણું કરી શકો તેમ છો.

ભૂલી જાઓ કે લોકો તમારા માટે શું વિચારે છે! વ્યક્તિ આત્મહત્યા કરે છે કારણ તે વિચારે છે કે તેની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો છે. તેની આબરૂ ને ઠેસ પહોંચી છે. કેવી પ્રતિષ્ઠા? કોની પાસે સમય છે તમારી પ્રતિષ્ઠા વિશે વિચારવાનો? લોકો પોતાના મનથી આગળ કશું વિચારી શકતાં નથી, ત્યાં તમારા વિશે, તમારી પ્રતિષ્ઠા વિશે વિચારવાનો એમની પાસે સમય જ ક્યાં છે? સમાજ શું વિચારશે તેની ચિંતા કરવી તે બિલકુલ વ્યર્થ છે.

આંતરિક વિકાસ પ્રત્યે સજગ બનો 

વ્યક્તિગત વિકાસ દરેક માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જીવનને એક વિશાળ દ્રષ્ટિકોણ થી જોવું જોઈએ. ૮૦ જેટલાં વર્ષનું આપણું આયુષ્ય છે. શું તે દુઃખી અને તણાવમાં રહેવા માટે છે? આટલા ટૂંકા જીવન દરમ્યાન આપણે આપણો સમય પ્રસન્ન રહેવામાં અને અન્યને ખુશી આપવામાં વિતાવવો જોઈએ.

જીવનને વિશાળ દ્રષ્ટિકોણથી જુઓ. જીવન એટલે માત્ર સુખ, સુવિધા, સગવડ જ નથી. જીવન માત્ર ભૌતિક ઉપલબ્ધીઓ પૂરતું સીમિત નથી. લોકોના આરોપ કે પ્રશંસા ઉપર જ જીવન આધારિત નથી. કોઈ સંબંધ,વ્યવસાય કે નોકરી નું હોવું, એ જ જીવન એવું નથી. જીવન આ બધા કરતાં ખુબ મૂલ્યવાન છે. સંબંધોમાં નિષ્ફળતા, નોકરી-વ્યવસાયમાં નિષ્ફળતા કે કોઈ ઈચ્છા પુરી ન થવી જેવાં કારણો આત્મહત્યા માટે જવાબદાર હોય છે. આ બધાં કારણો કરતાં આપનું જીવન અતિ વિશાળ છે. બહુમૂલ્ય છે. મનમાં, ચેતનામાં ઉઠતી ઈચ્છાઓ કરતાં જીવન અતિ અગત્યનું છે. જયારે આપ નિરાશા અને નકારાત્મકતાથી ઘેરાયેલા હો ત્યારે ઉઠી જાઓ અને આપના પરિવારમાં, સમાજમાં પૂછો કે હું આપના માટે શું કરી શકું? આપને કઈ રીતે મદદરૂપ થઇ શકું? અને આપ જોશો કે સેવા વડે આપ તરત જ નકારાત્મક લાગણીઓમાંથી બહાર આવી જાઓ છો. સેવા આપને પ્રસન્નચિત્ત અને સકારાત્મક બનાવે છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

ખુશીઓની ચાવી: ભાગ-2   

$
0
0

(બી.કે. શિવાની)

ધારો કે આજે તમે તમારી જાતે બાળકો માટે પીત્ઝા બનાવ્યા, તે પીત્ઝા બાળકો બહુ જ હોંશે-હોંશે ખાઈ રહ્યાં છે. બાળકોને હોંશે-હોંશે પીત્ઝા ખાતા જોઈ, તેમના ચહેરા પરનો આનંદ જોઈને, તમે મનોમન ખુબ ખુશ થાવ છો. પણ તે જ સમયે જો ઓફિસથી તમારા બોસનો ફોન આવે, અને કહે કે આજે તમે જે કામ કર્યું છે તેમાં ઘણી બધી ભૂલો છે, મારું નુકશાન થઈ ગયું. તો આ વાત સાંભળીને તમારી ખુશી જતી રહેશે. આમ જોવા જોઈએ તો ખુશી આપણી પરિસ્થિતિઓ ઉપર આધારિત હોય તેવું થઈ ગયું છે. આપણી ખુશી શા માટે પરિસ્થિતિઓ ઉપર આધારિત હોવી જોઈએ? આજે તો આપણું જીવન બીજા લોકો, તેમના મૂડ અને સ્વભાવ ઉપર આધારિત છે. આપણા મનની સ્થિતિ અન્ય લોકોના સ્વભાવ ઉપર આધારિત છે. જો મારી શારીરિક તંદુરસ્તી પ્રકૃતિના વાતાવરણ ઉપર આધારિત હશે, તો હું કેવી રીતે સ્વસ્થ રહી શકીશ?

આજે (કોવિડ-૧૯ના) વાતાવરણમાં બેક્ટેરિયા-ઇન્ફેક્શન તો પહેલેથી જ છે, પરંતુ જો મારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો બેક્ટેરિયા તમારા ઉપર કોઈ અસર નહીં કરી શકે. પરંતુ જો મારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડશે તો, નાના-નાના વાઇરસ પણ ઋતુ બદલાતા તમારા શરીર ઉપર આક્રમણ કરી દેશે. પણ જો તમે મજબૂત હશો, તો તમારા ઉપર કોઈ પણ ઇન્ફેક્શનનો પ્રભાવ નહીં પડે. જો તમે તમારું ધ્યાન નહીં રાખો અને માત્ર એમ કહેતાં રહેશો કે વાતાવરણ બરાબર નથી, ઠંડી વધારે પડે છે, ગરમી વધી ગઈ છે, તો ખરેખર બીમાર પડી જ જવાશે. તો શું આપણે બીમાર પડવું છે? કે સ્વસ્થ રહેવું છે? તે બંને વિકલ્પ આપણી પોતાની પાસે જ છે.

જેવી રીતે આપણે આપણા શરીરનું ધ્યાન રાખીએ છીએ. તેવી રીતે આપણે પોતે પોતાના મનનું ધ્યાન પણ રાખવું જોઈએ. આપણે એમ વિચારીએ છીએ કે જ્યારે પરિસ્થિતિ આવશે, ત્યારે તે સમયે મનનું ધ્યાન રાખીશ, પણ તે સમયે તો મનનું ધ્યાન રાખવું ઘણું અઘરું બની જશે. જેમ ઋતુ બદલાય તેમ  આપણે આપણા શરીરનું દરરોજ વિશેષ ધ્યાન રાખીએ છીએ. માટે જ બહાર પ્રકૃતિના વાતાવરણમાં થયેલ પરિવર્તનની કોઈ ખાસ અસર આપણા શરીરને થતી નથી. આપણા શરીરની રચના એવી છે કે, બહારના વાતાવરણના પરિવર્તન સાથે તાલમેલ બનાવી શરીરના રોગપ્રતિકારક તંત્રનો નાશ કરી છે, આપણને તેની ખબર સુદ્ધાં પડતી નથી અને સામાન્ય રીતે આપણે આપણું દૈનિક કાર્ય કરતા રહીએ છીએ. પણ જયારે ઋતુ બદલાય છે ત્યારે આપણે આપણા શરીરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, અને તે સમયે શરીરમાં શક્તિ-તાકાત ભરી શરીરને તૈયાર કરવું જરૂરી છે. કે જો બહારથી ઇન્ફેક્શન આવે તો તેનો સામનો કરી શકીએ.

જે રીતે શરીરનું ધ્યાન રાખીએ છીએ તેવી જ રીતે જો મનનું ધ્યાન રાખીશું તો નાની-મોટી પરિસ્થિતિઓ જીવનમાં ક્યારે આવીને જતી રહેશે તેનો ખ્યાલ પણ નહિ પડે. ઘણા પ્રકારની બહારથી પરિસ્થિતિઓ આવશે, જેમ કે કોઈએ તમને ખરું-ખોટું કીધું તો કોઈ નારાજ થઈ ગયા. કોઈ આર્થિક નુકશાન થયું. બાળકો તમારાથી સંતુષ્ટ નથી. બોસ તમારાથી રાજી નથી કે વારંવાર તમારા પર ગુસ્સે થઈ જાય છે. પાડોશી ઊંચા અવાજે કઈ કહી ગયા વગેરે.

જેમ ઋતુઓની, હવામાનની, બહારની સ્થિતિઓ સામે શરીરનું રક્ષણ કરવું ઘણું સરળ લાગે છે. એવી જ રીતે જ્યારે આપણે પોતાનું ભાવનાત્મક રક્ષણ કરવાનું શરૂ કરીશું ત્યારે તે પણ આપણને સહેલું અને સરળ લાગશે. ત્યારબાદ તમને કોઈ કાંઈ પણ કહે, તો પણ તેનો પ્રભાવ તમારી ઉપર નહીં પડે. તમારું મન હેરાન-પરેશાન નહિ થાય. કોઈએ તમારી સાથે વ્યવસ્થિત રીતે વાત ન કરી, તમને અપમાનિત કર્યા, તો પણ તે સમયે આપણે એમ જ વિચારવાનું કે શું હું એટલી નબળો/નબળી છું કે, બીજાના વિચારોનો પ્રભાવ મારી ઉપર પડે કે તેના અયોગ્ય વ્યવહારના કારણે હું શા માટે વારંવાર અપસેટ થઈ જાઉં?

અન્ય વ્યક્તિઓ તમારા માટે કેવી પ્રતિક્રિયા આપશે તે બાબતે સારા ખોટા અનુમાનો આપણે કરીએ છીએ. પરંતુ આપણે પોતાની જાતને અંદરથી જોઈશું તો ખબર પડશે કે, આપણે અચાનક ક્રોધિત કેમ થઈ જઈએ છીએ? આપણી આસપાસના લોકો પણ એમ કહેશે કે, અરે, આને અચાનક શું થઈ ગયું? અત્યાર સુધી તો ખૂબ સારા મૂડમાં હતા. દરેક વ્યક્તિના મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે. તે વિચારોની પ્રતિક્રિયા અંગે આપણે કંઈ પણ અનુમાન લગાવવું શક્ય નથી.

જેમ ઋતુઓ અંગે આપણને ખબર હોય છે કે, અત્યારે ઉનાળામાં ગરમી જ રહેશે, ત્યારબાદ ચોમાસામાં વરસાદ આવશે. પરંતુ જે દિવસે વાતાવરણ અચાનક બદલાઈ જાય, અત્યારે ગરમી છે. અડધા કલાક પછી અચાનક વરસાદ આવવા માટે અને અડધા કલાક પછી ખૂબ ઠંડી લાગવા માંડે. તો શું આપણે ઝડપથી આપણી સુરક્ષાની વ્યવસ્થા કરી શકીશું? જેવી રીતે વાતાવરણમાં અચાનક ફેરફાર સર્જાતા તે પરિવર્તનનો સામનો કરવા આપણે તૈયાર હોતા નથી. તેવી જ રીતે અન્ય લોકોના આપણી સાથેનો તોછડો કે ખરાબ વ્યવહારનો સામનો કરવા માટે આપણે પહેલેથી તૈયાર હોતા નથી.

અહીં આ બાબત ખાસ અગત્યની છે કે, આપણે પહેલાં આપણું ધ્યાન રાખીએ ત્યારબાદ અન્યનું. દિનપ્રતિ-દિન દરેકના જીવનમાં સમસ્યાઓ વધી રહી છે. આજે વ્યક્તિએ પોતાના મનનો કંટ્રોલ પરિસ્થિતિઓ ઉપર આધારિત બનાવી દીધો છે. વર્તમાન સમયે પરિસ્થિતિઓ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે, જેના કારણે દરેકના મનની સ્થિતિ પણ ઝડપથી બદલાઈ રહી છે. આવા સંજોગોમાં આપણે વિચારીએ કે, આત્માની સ્થિતિ કેવી હશે? સમગ્ર દિવસ દરમિયાન મન અનેક સ્થિતિઓમાંથી પસાર થાય છે. લોકોના અજુકતા વ્યવહારને ઝેલે છે, પરિણામે જેટલો બીજાનો અસ્વાભાવિક વ્યવહાર હશે તેટલો જ તમારો પણ અસ્વાભાવિક વ્યવહાર બની જાય છે.

સત્ય વાત એ છે કે, ઘણીવાર આપણને પોતાને પણ ખબર પડતી નથી કે, આપણાં અંતરમનનો જવાબ પણ અસ્વાભાવિક શા માટે બની જાય છે? બાળકોનું જ ઉદાહરણ લઈએ કે – માની લો કે આજે તમારા બાળક સાથે સ્કૂલમાં કોઈ ઘટના બની. બાળકે ઘેર આવીને તમને આ અંગે કશું જણાવ્યું નહિ. પરંતુ તેના મનની અંદર ઘણું મનોમંથન ચાલી રહ્યું છે. અને તે સમયે ધારો કે, તમે બાળકને દરરોજની જેમ કોઈક બાબતે તેને ટોક્યું કે કહ્યું. અત્યાર સુધી તો દરરોજ તે તમારી વાત ધ્યાનથી સાંભળતો હતો. પરંતુ આજે અચાનક જ તેણે તમને સામે જવાબ આપી દીધો. આ સમયે જો તમે તમારા મન પર કાબૂ રાખી, મનની અંદર થોડું વિચારો તો, આ પરિસ્થિતિ ત્યાંજ સામાન્ય બની જાય. પરંતુ મોટાભાગે આપણે આવા સમયે તેણે અસ્વાભાવિક જવાબ આપ્યો એટલે આપણે તેને એમ કહીએ છીએ કે, આ કોઈ તારી વાત કરવાની રીત છે? તને આજે શું થઇ ગયું છે? તું બગડી ગયો છે. તને ખરાબ મિત્રોનો સંગ લાગી ગયો છે. અને પછી પણ ઘણું બધું બોલતા જ રહીએ છીએ. એ બાળક પહેલેથી જ મનથી પરેશાન હતું. તેને ખબર છે કે તેણે ખરાબ રીતે વ્યવહાર કર્યો છે. જેનો તેને પશ્ચાતાપ પણ છે અને ઉપરથી આપણો ગુસ્સો, હવે તેનો આગળનો જવાબ કેવો હશે? આ સંજોગોમાં આપણે બીજાના જવાબનું મૂલ્યાંકન કરવાના બદલે પોતાના જવાબ તરફ ધ્યાન આપીશું તો, સામેવાળી વ્યક્તિને સાચવી લેવી કે સંતુષ્ટ કરવી સરળ બની જશે.

બીજાને તેમની ભૂલો બતાવવાના બદલે પહેલાં સ્વયંને અંતરમનથી ઊંડાણપૂર્વક જોવું જરૂરી છે. જ્યારે બાળક ઉપર, પતિ ઉપર કે બીજા કોઈ વ્યક્તિ પર ગુસ્સો કરીએ છીએ પછી આપણે કેવું અનુભવીએ છીએ? કારણ કે ગુસ્સો કર્યા પછી, આપણે એવું વિચારીએ છીએ કે મારે આમ નહોતું કરવું જોઈતું. મારા કારણે ઘરમાં અશાંતિ થઇ ગઈ. આવી રીતે પશ્ચાતાપ કરવાના બદલે આપણે એમ પણ વિચારી શકીએ કે, ભલે સામેવાળી વ્યક્તિએ બરાબર રીતે વાત નથી કરી, પણ તેની સાથે મારે શાંતિથી વાત કરવી જરૂરી છે. મારે તેને સમજવાનો પ્રયત્ન કરવો જોયતો હતો, તે તો મારા જ હાથમાં હતું. પણ જો તે સમયે મેં શાંતિપૂર્વક વ્યવહાર કર્યો હોત તો આજે આવી પરિસ્થિતિ ના સર્જાત, કંઈક જૂદી જ સ્થિતિ હોત.

આપણે આપણા જીવનમાં આંતરિક ખુશી-આનંદને પ્રાધાન્ય આપવું જોઈએ. આપણે સમજવું જોઈએ કે જ્યારે પહેલા હું પોતે ખુશ રહીશ તો બીજાને પણ ખુશી આપી શકીશ. હવે આપણે એમ વિચારીએ કે આ વિશ્વ એક નાટકનું રંગમંચ છે, તેના દરેક દ્રશ્યોમાં હું એક્ટર બનીને અભિનય કરી રહેલ છું, નાટકના દરેક કામથી હું ખુશ છું.

વધુ આવતા લેખમાં…

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર 2019 દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.) 

અપેક્ષાઓના ભારણને કારણે સર્જાતો આંત્રપ્રિન્યોરિઅલ સ્ટ્રેસ

$
0
0

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

પ્રશ્નકર્તા: કોઈ પણ મેનેજર કે ઉદ્યોગ સાહસિક માટે સમકક્ષ જૂથ સાથેના સંબંધો જાળવવા એ મુખ્ય મુદ્દો હોય છે. મોટા ભાગનાં વ્યાવસાયિક સાહસો મિત્રો અને પરિવારો સાથે જ શરુ થતાં હોય છે. અમે જોયું છે કે ઉદ્યોગ સાહસિકો જ્યારે તેમનો વ્યવસાય પ્રસ્થાપિત કરી રહ્યા હોય, ખાસ કરીને જ્યારે વ્યવસાય સારો ચાલી રહ્યો હોય, ત્યારે તેઓ ઘણા તણાવ અને ચિંતાની સ્થિતિમાંથી પસાર થતા હોય છે. પરિવાર, મિત્રો કે માધ્યમોના સ્વરુપમાં રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓનો બોજ ભારરુપ હોઈ શકે છે. સંબંધનું સંતુલન જાળવી રાખવું પડતું હોય અને તેની સાથે-સાથે કાર્યદેખાવ પર પણ ધ્યાન આપવું પડતું હોય તેવા ઉદ્યોગ સાહસિકોને તમે શું સલાહ આપશો?

સદગુરુ: ઉદ્યોગ સાહસિકોએ આંત્રપ્રિન્યોર હોવાનો અર્થ સમજી લેવો જરુરી છે. ઉદ્યોગ-સાહસિક એટલે એવી વ્યક્તિ કે જેણે પોતે જીવનમાં જે કાર્ય કરવાની ઈચ્છે છે, તેની પસંદગી કરી લીધી છે. જ્યારે તમે જીવનમાં તમારી ઈચ્છા મુજબનું કામ કરી રહ્યા હોવ, ત્યારે તે તમારા માટે સૌથી વધુ આનંદપ્રદ બાબત હોઈ શકે છે. પરંતુ ધીમે-ધીમે તમે એ ભૂલી જાઓ છો કે તમે જે કાર્ય કરવા ઈચ્છો છો, તે જ કરી રહ્યા છો. તેને બદલે, તમે અન્ય કોઈની અપેક્ષાઓ માટે કામ કરવાનું શરુ કરી દો છો. એ બરાબર નથી. ઉદ્યોગ-સાહસિક હોવાનો અર્થ એ છે કે તમે તે કરી રહ્યા છો, જે તમે કરવા ઈચ્છતા હતા અને તમારે તમારા સમગ્ર જીવન દરમિયાન તે જ કાર્ય કરવાનું ચાલુ રાખવું જોઈએ. સફળતા ફક્ત કદની દ્રષ્ટિએ નથી હોતી. સફળતાને – તમે જે છો તે, તમારી ક્ષમતાઓ અને તમારી યોગ્યતાની પૂર્ણ અભિવ્યક્તિ શોધવાની દ્રષ્ટિએ પણ જોવી જોઈએ. જો કોઈ પણ માનવી તે પોતે કોણ છે, તેની પૂર્ણ અભિવ્યક્તિ શોધી લે, તો તેને સફળતા મળશે. જો તમે તમારી સરખામણી તદ્દન જુદા ક્ષેત્રની કે જુદી જ પ્રવૃત્તિ કરતી વ્યક્તિ સાથે કરશો અને આંકડાઓ એકત્રિત કરશો, તો તે સંખ્યા મોટી હોઈ શકે છે – પણ તે બાબત બિનમહત્વની છે. તમારા જીવનમાં સંપૂર્ણ અભિવ્યક્તિ શોધવી એ સફળતા છે.

 

આમ, તમે જે કામ કરી રહ્યા છો તે થકી, તમે જે છો તેની પૂર્ણ અભિવ્યક્તિ કરવા સક્ષમ હોવ અને સૌથી મહત્વનું – તમારા અસ્તિત્વનો માર્ગ પ્રસ્થાપિત કરવા માટે સક્ષમ હોવ, તો તમારે સમકક્ષ જૂથો, માધ્યમો કે અન્ય કોઈથી પણ દબાણ અનુભવવાની જરુર નથી. ઉદ્યોગ-સાહસિક જે કરવા ઈચ્છે, તે કરતા હોય છે. તેના માટે તેનું કામ મહત્વનું હોય છે. એક વાર તમારું કામ તમારા માટે મહત્વનું બની રહે, ત્યાર પછી સૌથી અગત્યની બાબત એ છે કે તમારે સ્વયં પર ધ્યાન આપવું જોઈએ. તેનો સદંતર અભાવ વર્તાય છે. વ્યવસાયનું સંચાલન કરવાનો અર્થ એ થાય છે કે તમે હજ્જારો દિમાગોનું સંચાલન કરી રહ્યા છો. જો તમે સ્વયંના દિમાગનું વ્યવસ્થાપન ન કરી શકો, તો તમે અન્યોના દિમાગ કેવી રીતે સંભાળી શકશો? જો તમે તમારું દિમાગ સાચવો, તો પછી દબાણનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તણાવનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તણાવ જેવી કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી. કામ એ દબાણ નથી. કામ એ તણાવ નથી. સ્વયંને સંભાળવાની તમારી અસક્ષમતા, એ તણાવ છે.

મોટા ભાગના લોકો એવું વિચારે છે કે તેમની જોબ, તેમનો પરિવાર, તેમના જીવનની પરિસ્થિતિ, કરવેરા અને ન ચૂકવાયેલાં બિલને કારણે તેઓ તણાવ અનુભવે છે. પણ મુખ્યત્વે, તણાવ તમારી પોતાની સિસ્ટમ – તમારું શરીર, દિમાગ, લાગણીઓ અને ઊર્જાનું સંચાલન કરવાની તમારી અક્ષમતા છે.

તણાવ મશીનમાં ઉત્પન થતાં ઘર્ષણ જેવો છે. બીજા શબ્દોમાં કહીએ તો, સિસ્ટમ સરળતાથી અને સુચારુ રીતે ચાલે તે માટે તેમાં પૂરતું લુબ્રિકેશન નથી. દરેક વ્યક્તિના જીવનમાં પરિસ્થિતિઓ આવતી રહે છે અને બદલાતી રહે છે, પણ દરેક વ્યક્તિ તે પરિસ્થિતિનો સામનો ભિન્ન-ભિન્ન રીતે કરે છે, જેનો આધાર તેની પોતાની સિસ્ટમ કેટલી સરળ રીતે કામ કરે છે, તેના પર રહે છે. આ માનવીય વ્યવસ્થાને કેવી રીતે સંભાળવી તે તમે જાણતા હોવ, તો તણાવનો કોઈ પ્રશ્ન જ ઉઠ્તો નથી. વિશ્વમાં તમે કેટલા સફળ થાઓ છો, તેનો આધાર મુખ્યત્વે તમારું પોતાનું આંતરિક તંત્ર કેટલું ઘર્ષણ-રહિત છે, તેના પર રહેલો છે. તમે સરળ પ્રવૃત્તિઓ દ્વારા તમારી સિસ્ટમને ઘર્ષણરહિત સ્થિતિમાં લાવી શકો છો. યોગ વિજ્ઞાન તમને તણાવમુક્ત જીવન માટેનાં સાધનો પૂરાં પાડે છે.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)

 

આપણી આસપાસ કયા પ્રકારના લોકો હોય છે?

$
0
0

ઘણી વખત લોકોથી તમે કંટાળી જાઓ છો? એવો અનુભવ કરો છો, કે જો સામી વ્યક્તિને સરળતાથી સમજી શકતાં હોઈએ તો જીવન કેટલું સુગમ બની જાય! ક્યાંય કોઈ ગેરસમજનો અવકાશ જ ન રહે તો કેટલું સારું! પરંતુ પ્રિય મિત્ર, વાસ્તવમાં, કોઈ પણ દેશમાં, સમાજમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં લોકો હોય જ છે. કોની સાથે કેવો વ્યવહાર કરવો તે એક કળા છે. તો પહેલાં એ સમજીએ કે, કયા કયા પ્રકારનાં લોકો આપણી આસપાસ હોય છે.

  • પહેલાં પ્રકારનાં લોકો એટલે એવા લોકો જે હમેશા ઉત્સાહથી તરવરતાં હોય છે. કોઈ અવરોધોને તેઓ ગણકારતાં નથી. તેઓ હમેશા ખુશ રહે છે, અને પોતાનાં ધ્યેયને પ્રાપ્ત કરીને રહે છે.
  • બીજા પ્રકારનાં લોકો ખૂબ સુંદર સંચાલન કરી જાણે છે. આ લોકો નવું સર્જન કરી નથી શકતાં, નવું સાહસ પણ નથી કરી શકતાં, પરંતુ જે કઈં તેમની પાસે છે, તેને ખૂબ સાચવે છે. માવજત કરે છે. તેમની વિચારસરણી પરંપરાગત હોય છે.
  • ત્રીજા પ્રકારનાં લોકો ક્રાંતિકારી અથવા તો બંડખોર હોય છે. તેઓ ચીલાચાલુ પરિસ્થિતિને બદલવા ઈચ્છે છે. પરિવર્તન લાવવા માટે તેઓ વિનાશકારી પ્રવૃત્તિઓ કરતાં પણ અચકાતાં નથી.
  • ચોથા પ્રકારનાં લોકો તેજસ્વી, મેધાવી અને સર્જનશીલ હોય છે. તેઓ નવા નવા રચનાત્મક કાર્યો અને પ્રયોગો કરતાં રહે છે.
  • પાંચમા પ્રકારનાં લોકો હમેશા સહુને સાથે લઈને ચાલે છે. તેમનામાં અપાર કરુણા હોય છે. જ્યાં જ્યાં સમાજમાં સમસ્યાઓ ઊભી થાય છે, તેઓ મદદ કરવા તત્પર હોય છે, અને કોઈને અન્યાય ન થાય, દુખ ન પહોંચે તે રીતે સમસ્યાનું સમાધાન કરે છે. આ લોકો શાંતિ દૂત બનતા હોય છે, અને સર્વે પ્રતિ અપાર કરુણા અને અપનત્વની ભાવના ધરાવતાં હોય છે.

તમારી ભીતર જુઓ. તમારી શું લાક્ષણિકતાઓ છે, તેના પર ધ્યાન આપો. મનનાં ક્ષેત્રમાં બે સમાન પરિબળો પરસ્પર આકર્ષે છે. તો આ પાંચ પ્રકારોમાંથી તમે કયા પ્રકાર પ્રત્યે આકર્ષણ અનુભવો છો? જાણો કે તમે એ જ પ્રકારનાં વ્યક્તિ છો. એ મુજબ તમે તમારાં જીવનની દિશા નક્કી કરી શકો છો.

પરંતુ ભિન્ન ભિન્ન પ્રકાર ધરાવતી વ્યક્તિઓ, ભાવનાત્મક રીતે પણ તદ્દન ભિન્ન હોય છે. તો અલગ અલગ ભાવનાત્મક ભૂમિકા ધરાવતી વ્યક્તિઓ સાથે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ? જેથી તમારું પોતાનું મન શાંત અને નિશ્ચલ રહે! તો આ માટે ચાર પ્રકારનાં અભિગમ તમે અપનાવી શકો છો.

૧. મૈત્રી: જે લોકો ખુશ છે, ઉત્સાહી છે તેમની સાથે મૈત્રી રાખો. જો ખુશ અને ઉત્સાહી વ્યક્તિ સાથે તમારી મિત્રતા નથી તો ચોક્કસ ક્યારેક એમના પ્રત્યે ઈર્ષા-ભાવ થવા નો જ. એના કરતાં ખુશમિજાજ, ઉત્સાહી વ્યક્તિ સાથે દોસ્તી કરી લો. અને જુઓ કે તમારું મન પણ વધુ ને વધુ પ્રસન્ન રહેશે.

૨. કરુણા: જેઓ દુ:ખી છે, તેમની સાથે મિત્રતા ન રાખો, પણ અપાર કરુણા રાખો. જો દૂ:ખી વ્યક્તિ સાથે મૈત્રી કેળવશો તો તમે પણ દૂ:ખી થઈ જશો. અને તમે જ દૂ:ખી છો, તો અન્યને કઈ રીતે દૂ:ખી માનસિક્તામાં થી બહાર લાવી શકશો? ઘણી વાર દૂ:ખી વ્યક્તિની સાથે આપણે પણ દૂ:ખી રહેવું જોઈએ તેમ માનવા લાગીએ છીએ. આ મોટી ભૂલ છે. આ તો એવું થયું કે દર્દી ની સારવાર માટે ડૉક્ટરએ પણ બીમાર થવું પડે! ડૉક્ટર બીમાર હશે તો સારવાર કે રીતે કરી શકશે? તો જેઓ દૂ:ખી છે, તેમના પ્રત્યે દયા નહીં પરંતુ કરુણા રાખો, મદદ કરો.

૩. પ્રસન્નતા: જેઓ સારું કાર્ય વિશ્વમાં કરી રહ્યા છે, પોતાનાં ક્ષેત્રમાં સફળ છે તેમના તરફ અત્યંત પ્રસન્નતાનો ભાવ રાખો. જો કોઈ સંગીતમાં પારંગત છે તો તેમના પ્રત્યે હ્રદયપૂર્વક પ્રસન્નતા વ્યક્ત કરો. જો કોઈ પોતાનાં ક્ષેત્રમાં પ્રગતિ કરે છે તો તેમની પ્રવીણતા અને પ્રગતિ પ્રતિ પ્રસન્ન બની જાઓ. તમારી પોતાની ચેતનાનું ઊર્ધ્વીકરણ થશે.

૪. નિર્લેપતા : જે લોકો સમાજમાં ભાંગ-ફોડ કરી રહ્યા છે, નુકશાન કરી રહ્યા છે, તેમના તરફ સામાન્ય રીતે આપણે ગુસ્સાની લાગણી અનુભવીએ છીએ. પરંતુ જ્યારે તમે ગુસ્સો કરો છો ત્યારે તમે તમારી ઉર્જા અને તમારા ઉત્સાહને ખોઈ બેસો છો. આ તો કેટલું મોટું નુકશાન છે! અને આ સ્થિતિમાં તમે પણ તેમના જેવા બનતા જાઓ છો. જે પરિસ્થિતિ, જે વ્યક્તિનો તમે અસ્વીકાર કરો છો, અને પરિણામ રૂપે ક્રોધ કે તીરસ્કાર કરો છો, ત્યારે અંતત: તમારામાં અને તે વ્યક્તિમાં કોઈ તાત્વિક ફેર રહેતો નથી. તો આ સંજોગોમાં શું કરવું જોઈએ? સામી વ્યક્તિનો સ્વીકાર કરો અને નિર્લેપ બની જાઓ. ત્યાર પછી તમે અસરકારક પગલાં લઈ શકશો.

આ ચાર પ્રકારનાં અભિગમથી તમારું મન શાંત રહેશે. એક શાંત અને ધ્યાનસ્થ મન ઉર્જાનો અનંત સ્ત્રોત છે અને કોઈ પણ સકારાત્મક પરિવર્તન લાવવા સક્ષમ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

 

ખુશી એટલે આંતરિક ખુશી

$
0
0

(બી.કે. શિવાની)

આપણે એ વાત જાણવી જોઈએ કે આપણા જીવનમાં ખુશી હંમેશા કેવી રીતે રહે. આપણે શાંતિથી પોતાની જાતનું અવલોકન કરવું જોઈએ કે, દિવસ દરમિયાન આપણી ખુશી ઓછી તો નથી થતી કે ગાયબ તો નથી થતી? જીવનમાં ઉતરાવ-ચઢાવ તો આવે. પણ જીવનમાં ખુશી સદા માટે કેવી રીતે રહે? આ લેખમાળામાં મારો એ જ ઉદ્દેશ્ય છે.

ધારો કે હું આખો દિવસ આપને ખુશ રાખવા મહેનત કરું છું. પરંતુ આપ ખુશ થતા નથી જે મારી અસફળતાનું કારણ બને છે. આ ઘટનાથી મારા ઉપર બે બાબતોનો પ્રભાવ પડે છે. એક તો આપ ખુશ ન થયા અને બીજું હું આપને ખુશ કરી ન શકી. અર્થાત્ હું મારા ઉદ્દેશ્યમાં અસફળ થઈ. જે વાતનું મને દુઃખ થાય છે, જેથી મારી આંતરિક ખુશી અને ઉત્સાહ જતો રહે છે.

આપણને દરરોજ કોઈ નવી વસ્તુઓ ખરીદવાની ઈચ્છા થાય છે. આના બે પાસા છે. એક તો ક્યાંકને ક્યાંક હું ખુશીઓને વસ્તુઓમાં શોધું છું અને બીજું મને નવી-નવી વસ્તુઓ ભેગી કરવાનો શોખ થઈ ગયો છે. એમ કહેવાય કે વસ્તુઓને ખરીદી હું ખુશીઓને મેળવવાનો નિર્રથક પ્રયત્ન કરું છું. આજ એક બહુ મોટું કારણ છે, જે મારી ખુશીને પ્રભાવિત કરે છે.

હું બજારમાંથી પસાર થઇ રહી છું. દુકાનની બહાર રાખેલ શોકેસ પાસેથી પસાર થતાં, હું જોઉં છું કે તેની અંદર આકર્ષક ચીજ-વસ્તુઓ છે. હું તે દુકાનથી થોડી આગળ જતી રહી. પણ તે ચીજ-વસ્તુઓની યાદ સતત મારા મનમાં આવી રહી છે. આને તે ચીજ પ્રત્યેનો મારો એક લગાવ છે એમ કહી શકાય. ત્યારબાદ મારું મન વર્તમાનમાં ન રહેતા ક્યાંક ને ક્યાંક તે ચીજ-વસ્તુઓ સાથે જોડાયેલું રહે છે. હું તે ચીજ ખરીદી લઉં છું, તો મને સારું લાગે છે. આને આપને નામ આપીએ છીએ – ‘મારી સુખ- સુવિધા માટેના સાધન’. અર્થાત સુખ પણ અને સુવિધા પણ. સુવિધા ચોક્કસ આપણા માટે આરામદાયક હોય છે.  પરંતુ આપણે સુવિધા અને સુખ બંનેને એક બીજા સાથે મેળવી દીધા. હવે તે સુખમાં હું ખુશીને શોધવાનો પ્રયત્ન કરું છું. આપણા મનમાં એવા વિચારો ચાલે છે કે, આ ચીજ મારે ખરીદવી છે, જે મારી પાસે આવશે અને મને ખુશી-આનંદ મળશે.

હું 40 લાખ રૂપિયાની ગાડી ખરીદું છું. જેમાં A.C બહુ જ સરસ છે. મ્યુઝિક સિસ્ટમ પણ ઉત્તમ છે. ગાડીની તમામ સુવિધા મારા માટે આરામદાયક છે. જે કારણે હું બહુ જ ખુશ છું. પરંતુ શું ગાડીમાં બેસતી વખતે મારી ખુશી કાયમ બની રહેશે? અને હું તે ગાડીમાં ૨૪ કલાક તો બેસી રહેવાની નથી, કે મને સતત તેના દ્વારા ખુશી મળ્યા જ કરે. માનો કે હું ઓફિસમાંથી બહાર નીકળી અને ગાડીમાં બેઠી. અને આજે જ  ઓફિસમાં મારા બોસ સાથે ઝઘડો થઈ ગયો. તો શું હું 40 લાખ રૂપિયાની ગાડીમાં બેઠા પછી પણ સવારે જે રીતે ખુશ હતી તેવી આ પરીસ્થિતિમાં ખુશી રહેવાની? ખુશીનો અનુભવ કરીશ? તે ગાડી હવે મને ખુશી આપશે? નહીં. આપણે એમ વિચાર્યું કે, આરામદાયક ગાડીમાં બેસવાથી હું હંમેશા ખુશ રહીશ. પરંતુ એ જરૂરી નથી કે, ગાડીમાં બેસતી વખતે કાયમ હું ખુશ રહીશ. એમ પણ બની શકે કે ગાડીમાં બેઠા પછી પણ હું દુઃખી જ રહું, ચિંતામાં રહું. ગાડી પાસે એવી કોઈ શક્તિ કે તાકત નથી કે, તે મારી જિંદગીની સમસ્યાઓનું નિરાકરણ કરી શકે. આમ આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ગાડી આરામ આપી શકે છે, પરંતુ ખુશી નહીં. આપણે ગુસ્સામાં હોઈએ અને આરામદાયક સ્થાન પર થોડો વિશ્રામ લઈ લઈએ તો બની શકે કે આપણો થોડો ગુસ્સો ઓછો થઈ જાય. પરંતુ ગુસ્સાનું પુરું ચક્ર તો મનમાં ચાલતું જ રહે છે.

જ્યારે આપણે પહેલી વાર ગાડી ખરીદીએ છીએ ત્યારે ઘરના બધા સભ્યો ખૂબ ખુશ અને ઉત્સાહમાં હોય છે. પરંતુ તે કેટલા દિવસ સુધી? એક મહિનો, બે મહિના. ત્યારબાદ જેવી રીતે અન્ય વસ્તુઓ ઘરમાં સામાન્ય રીતે પડી હોય છે એ જ પ્રકારે એક વસ્તુ તરીકે એટલી મોઘી ગાડી પણ આપણા ઘરમાં પડી જ રહે છે. ત્યારબાદ પુનઃ તેજ ચિંતા, દુઃખ, પરેશાની વાળી જીંદગીની દિનચર્યા (રોજનો નિત્યક્રમ) શરૂ થઈ જાય છે.

હવે આપણે એવું વિચારીએ છીએ કે, હવે ફરીથી કઈ નવી વસ્તુ ખરીદીએ જેથી મને ખુશી થાય. આમ દરેક વખતે થોડા-થોડા સમય બાદ આપણે એવું કઈક કરવા ઇચ્છીએ છીએ કે, જેનાથી મનને શાંતિ અને ખુશી મળે. જીવનમાં પરિસ્થિતિઓ અને સંબંધોમાં ઉતરાવ-ચઢાવ થયા કરે. સ્વભાવ અને સંસ્કારનો ટકરાવ પણ રહે. હવે હું દુઃખી છું, એમ વિચારીને, એવું તો હું શું કરું, જેથી મને જીવનમાં શાંતિ અને ખુશી મળે? એ દિશામાં જવા માંગીએ છીએ.

ધારો કે મારા ઘરમાં ચાર વ્યક્તિઓ છે. અમે ક્યાંક એકબીજાથી અસંતુષ્ટ છીએ. ઘરનું વાતાવરણ સુધારવા માટે હું ઘરમાં એક નવી વસ્તુ ખરીદીને લાવું છું. પરિણામે ઘરના તમામ વ્યક્તિઓ ખુશ થઈ  જાય છે. ઉત્સાહમાં આવી જાય છે, અને કહે છે કે, આજે તો પાર્ટી થવી જોઈએ. આમ ઘરમાં ખુશીનું વાતાવરણ બની જાય છે.

બે-ત્રણ દિવસ સુધી નવી વસ્તુનો પ્રભાવ રહેશે. ત્યાર બાદ ફરીથી પહેલાની જેમ જ નિત્યક્રમ શરૂ થઈ જશે. થોડા દિવસ પછી ફરીથી આપણે વિચારીશું કે હવે હું શું નવું ખરીદું? આપણે ખુશ રહેવા માટે વારંવાર કેટલીક ચીજો ખરીદતાં રહીશું? કેટલી વાર વર્ષમાં નવી ગાડીઓ ખરીદશું? કેટલી વાર નવા TV કે મોબાઈલ ખરીદશું? જે ચીજની આવશ્યકતા જ નથી છતાં પણ તે ખરીદવાની ઈચ્છા થાય છે. અને જ્યાં સુધી નવી ચીજ ઘરમાં આવતી નથી, ત્યાં સુધી આપણે ખુશ નહીં રહી શકીએ એમ આપણે માનીએ છીએ. પરિણામે દુઃખ, અશાંતિ, પરેશાની ને ગુસ્સો પણ આવશે. આપણે જે વસ્તુ ખરીદી રહ્યા છીએ તે અંગે સ્પષ્ટ સમજ હોવી જોઈએ કે, તે વસ્તુ શરીરને આરામ આપવા માટે બનાવવામાં આવી છે, મારા મનને ખુશ કરવા માટે નહીં.

જાહેરાત આપતી કંપનીઓ ગ્રાહકોને આકર્ષણ કરી ખરીદવા માટે લોભામણી જાહેરાતો કરી લલચાવી ખરીદવા માટેની ભાવનાઓને જાગૃત કરે છે. આ પણ એક મનો-વૈજ્ઞાનિક વાત છે કે, તેઓ જે વસ્તુની જાહેરાત આપે છે, તેમાં જણાવે છે કે, જો તમે આ વસ્તુ ખરીદશો તો આપનો પરિવાર તમારાથી ખુશ થઈ જશે. ગ્રાહકોની માનસિક અવસ્થા એવી હોય છે કે, તેઓ જાહેરાતથી પ્રભાવિત થઈને તે ચીજ ખરીદવા માટે લલચાય છે. આપણે વિચારીએ છીએ કે હું આ ચીજ ખરીદું તો મારા ઘરના તમામ સભ્યો ખુશ થઈ જશે.

આપણે સ્થૂળ વસ્તુઓ ભેગી કરવા માટે પ્રયત્નશીલ છીએ. જે શરીરના સુખ માટે યોગ્ય છે. પરંતુ આપણે સાથે-સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે, આ ચીજ-વસ્તુઓ મને ખુશી નહીં આપે. મેં એમ વિચાર્યું હતું કે, જ્યારે હું આ વસ્તુ ખરીદીશ તો મારો પરિવાર ખુશ થઈ જશે. એકવાર આપણે શાંતચિત્તે એ વિચારવું પડશે કે, આજકાલ મારા પરિવારના સભ્યોનું ખુશીનું સ્તર કેવું છે? જયારે આપણે સાંજે કાર્યસ્થળથી ઘેર આવતા સમયે બાળકો માટે કોઈ એક રમકડું કે કોઈ ચીજ લઈ આવીએ છીએ, ત્યારે બાળકો ખુશ થઈ જાય. આપણે એમ વિચાર્યું કે, આપણે બાળકોને ખુશ કરી દીધા. આ ચીજ થોડા સમય માટે બાળકોને ખુશી આપશે. ત્યારબાદ બાળકો તે વસ્તુને ભૂલી જશે અને પોતાના કામમાં વ્યસ્ત થઈ જશે. પરંતુ ચીજ-વસ્તુઓ આપીને આપણે બાળકોને જ્યાંથી ખુશી મેળવી શકતા હતા, તે માર્ગેથી તેમને દૂર કરી દીધા. હવે તો બાળકોને એક આદત (ટેવ) પડી જશે કે, જેટલી નવી-નવી વસ્તુઓ તેમની પાસે આવતી જશે એટલી ખુશી મળશે. પછી આપણે એમ કહીએ છીએ કે, બાળકોની માંગણીઓ તો પુરી જ થતી નથી. દરરોજ નવી-નવી ચીજ-વસ્તુઓની માંગણી કરે છે. હવે પ્રશ્ન એ થાય છે કે બાળકોને આવું શીખવ્યું કોણે? આપણે જ તો તેમને શીખવ્યું કે નવી-નવી ચીજ-વસ્તુઓ તમારી પાસે આવતા તમને ખુશી થશે. આપણો હેતુ તથા વ્યવહાર તેમના માટે ખૂબ શુદ્ધ છે, પરંતુ આપણે એ પણ યાદ રાખવું પડશે કે, તેના માટે આપણે જે પદ્ધતિ અપનાવી તે અયોગ્ય છે.

વધુ આવતા લેખમાં…

બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.

 

દિવ્યતાના માર્ગ પર ચાલવાનો અર્થ શું છે?

$
0
0

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

જ્યારે આપણે શરીર ધારણ કરીએ છીએ, જે દિવસે આપણે આપણી માતાના ઉદરમાંથી બહાર આવીએ છીએ, ત્યારે તે શક્યતાઓ નો જન્મ છે. જીવવિજ્ઞાન તો તમને કેવળ એક પ્રાણી તરીકે જન્મ આપે છે. એ તમે છો જે સ્વયંને માનવી કે દિવ્ય શક્યતામાં રૂપાંતરિત કરી શકો છો. આ કામ વ્યક્તિએ સ્વયં કરવું પડે છે. જ્યારે તેનામાં ઇચ્છા જાગૃત થાય છે, જ્યારે તેનામાં જરુરી સભાનતા આવે છે, જ્યારે તે તેની અંદરના પશુને મારી નાંખે છે અને પવિત્રતાને પાંગરવા દે છે, ત્યારે તેનો જન્મ વાસ્તવિક અર્થમાં અર્થપૂર્ણ બની રહે છે. આ શક્યતા તમારા જીવનની દરેક ક્ષણે અસ્તિત્વ ધરાવે છે.

જે શક્યતા શક્ય ન બને, તે દુઃખદ છે. જે બીજમાંથી અંકુર ન ફૂટે, જે ફૂલ ન ખીલે, તે દુખદ છે. જો કોઈ શક્યતાને અવકાશ જ ન હોય, તો તે જુદી વાત છે. પણ તમે પથ્થર પર ફૂલ ખીલવાની કે ગધેડાને જ્ઞાન પ્રાપ્ત થાય તેવી અપેક્ષા નથી સેવી રહ્યા. આપણે ફૂલ આપતા છોડ પર ફૂલો ખીલે અને માનવી તેના સર્વોચ્ચ સ્વરુપે ખીલી ઊઠે, તેવી અપેક્ષા સેવીએ છીએ. જો આ શક્યતાને નિષ્ક્રિય રાખવામાં આવે, તો તે ઘણું જ દુઃખદ છે.

બ્રહ્મચર્ય એટલે દિવ્યતાના માર્ગ પર ચાલવું. દિવ્યતાના માર્ગ પર ચાલવાનો અર્થ શું છે? તેનો અર્થ એ કે વ્યક્તિ વાસ્તવમાં તેની અનિવાર્ય પ્રકૃતિથી આગળ વધીને જીવનની સચેત પ્રક્રિયામાં પ્રવેશ કરવા માટે મથામણ કરી રહી છે. આ માટેનો પ્રયત્ન પવિત્ર છે. શું તેઓ આજે કે દસ વર્ષોમાં તેમની મર્યાદાઓને પાર કરી જશે? અહીં એ મુદ્દો મહત્વનો નથી. કોઈ વ્યક્તિ તેના અનિવાર્ય પ્રકૃતિને પાર કરવા માટે મથી રહી છે, કોઈ વ્યક્તિ તેની અનિવાર્ય પ્રકૃતિને પાર કરીને સચેત માનવી બનવા માટે પ્રયત્ન કરી રહી છે, તે મહત્વપૂર્ણ છે. આ મથામણ આસપાસની દરેક વ્યક્તિ માટે અસંખ્ય શક્યતાઓ ઊભી કરે છે.

આ સંસ્કૃતિના પ્રાચીન ભૂતકાળની સમજદાર વ્યક્તિઓએ નક્કી કર્યું કે વિશ્વની ત્રીસ ટકા વસ્તીએ સંયમી માર્ગ અપનાવવો જોઈએ. આપણે તો તેની નજીક પણ નથી. ભૂતકાળમાં ઘણા યોગીઓએ તેને પુનઃજીવિત કરવાના મોટાપાયે પ્રયત્નો કર્યા. અગસ્ત્ય આવા જ એક મહાન યોગી હતા, જેમણે હજ્જારો યોગીઓને સંયમી માર્ગ તરફ વાળ્યા. આપણે હજી પણ તેમના પ્રયત્નોના ફળ મેળવી રહ્યા છીએ. આજે, ઇશા ફાઉન્ડેશન એ દિશામાં જ પ્રયત્નશીલ છે કે, ભાવિ પેઢીઓ અફળદ્રુપ ન બની જાય. આ વિશ્વની ભાવિ પેઢીઓ ફક્ત ખાવામાં, સૂવામાં અને પ્રજોત્પાદનમાં જ રસ ન રહે, તે માનવી તરીકે કશુંક ઉત્કૃષ્ટ કાર્ય કરે.

આધ્યાત્મિક પ્રક્રિયા તમારામાં રહેલા પ્રાણીનાં મૂળનો નાશ કરીને દિવ્યતાને ખીલવવા માટેની પરિસ્થિતિનું સર્જન કરે છે. તે બીજનું ફળ તત્કાળ જોઈ શકાતું નથી. જ્યાં-ત્યાં ઊગી નીકળતા નીંદણ પર ત્રણ દિવસની અંદર જ ફૂલો બેસે છે. પણ જો તમે નાળિયેરના વૃક્ષ પર ફૂલો ઊગે તેમ ઈચ્છતા હોવ, તો તે માટે તમારે છ વર્ષ સુધી રાહ જોવી પડે છે. આમ, જો તમે વાસ્તવમાં કશુંક અર્થપૂર્ણ કરવા ઈચ્છતા હોવ તો તેને થોડો સમય લાગશે. પણ જો બીજ યથાર્થ હોય અને તેનું પાલનપોષણ યોગ્ય હશે, ફળ ઊગવાનું જ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જીવનનો માર્ગ ન જાણતી હોય, કેવળ તેવી અધીરી મૂર્ખ વ્યક્તિ જ ચોથા વર્ષે એમ વિચારીને નાળિયેરીને ઉખાડી ફેંકશે કે આમાંથી તો કશું ઉપજતું નથી.

પ્રાણીઓથી આપણને જુદા પાડતું એકમાત્ર પરિબળ એ છે કે તેઓ ફરાજિયાતપણે કાર્ય કરે છે, જ્યારે આપણે સચેતતાપૂર્વક કાર્ય કરી શકીએ છીએ. જો આપણે આપણી અંદર રહેલા તમામ ફરજિયાતપણા ને કાઢી નાંખીએ અને જીવનના દરેક પાસાંને સચેત પ્રક્રિયા બનાવીએ, તો આપણે સંપૂર્ણપણે પરમ સુખમય જીવન જીવી શકીશું અને આવું જીવન જીવનારી વ્યક્તિએ તેના પરમ મોક્ષની ચિંતા કરવાની પણ જરુર નથી. તે તેનો અધિકાર છે. તે ભગવાન પાસેથી મળેલી ભેટ નથી. તે તેનો અધિકાર છે, કોઈ તેને નામંજૂર કરી શકે નહીં.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)

 

લોકોના અભિપ્રાય પ્રમાણે મારી જાતને એટલી બદલી, કે હવે…

$
0
0

એક જામફળ કહે છે, એક દિવસ એક વ્યક્તિએ કહ્યું કે તેને કેળાં નો સ્વાદ પસંદ છે, એટલે મેં મારી જાતને કેળાં માં બદલી. પણ થોડા સમય પછી તે વ્યક્તિને નારંગી પસંદ આવવા લાગી, તો મેં મારી જાતને નારંગીમાં પરિવર્તિત કરી. તેણે કહ્યું કે નારંગી ખાટી છે અને હવે તેને સફરજન પસંદ છે, તો મેં પણ સફરજન બનવાનું નક્કી કર્યું અને ત્યાં તો તરત જ તેણે દ્રાક્ષની શોધખોળ કરવાનું શરૂ કર્યું. લોકોના અભિપ્રાય પ્રમાણે મેં મારી જાતને એટલી બધી વખત બદલી, કે હવે મને જ મારું મૂળ સ્વરૂપ યાદ નથી. આના કરતાં મેં મારું મૂળ સ્વરૂપ જાળવી રાખીને જેને જામફળ પસંદ છે તે વ્યક્તિની પ્રતીક્ષા કરી હોત તો સારું હતું!

કોઈ એક ગ્રુપ તમારો સ્વીકાર નથી કરતું તે કારણસર તમારે સ્વયંને બદલવાની જરૂર નથી. જગત તમારા માટે કોઈ પણ નિર્ણય કેમ ન કરે, તમે તમારી વિશિષ્ટતા જાળવી રાખો. પોતાની જાતને હમેશા સન્માન આપો. બીજા પાસેથી સ્વીકૃતિ મેળવવાની અપેક્ષામાં તમારાં આત્મ સન્માન નો ભોગ ન આપો. કોઈ સંબંધને જીતવાના પ્રયાસ કરવામાં જુઓ કે તમારાં સાચાં અને મૂળભૂત સ્વરૂપનું બલિદાન તો તમે નથી આપી રહ્યાં? કારણ ભવિષ્યમાં તમને ચોક્કસ પસ્તાવો થશે કે સ્વીકૃતિની ક્ષણિક ઝંખનામાં, તમારી સ્વર્ણિમ વિશિષ્ટતા તમે ખોઈ દીધી છે! મહાત્મા ગાંધીજી નો પણ કેટલા બધા એ અસ્વીકાર કર્યો હતો!

તો જાણો કે જે એક ચોક્કસ ગ્રુપ તમને સ્વીકારતું નથી, તે તમારા માટે બન્યું જ નથી. તમારા માટે તમારું અનુપમ વિશ્વ સર્જાઇ ચૂક્યું છે, જ્યાં માત્ર તમે જ સમ્રાટ/સામ્રાજ્ઞી છો. એ વિશ્વને શોધો. વાસ્તવમાં એ વિશ્વ જે તમારા માટે બન્યું છે તે તમને શોધી કાઢશે!

પાણી જે કાર્ય કરી શકશે તે ગેસોલીન નહીં કરી શકે અને જે તાંબું કરી શકશે તે સોનું નહીં કરી શકે. કીડી હળવી છે એટલે તે ગતિ કરી શકે છે અને વૃક્ષ ભારે છે તો તે પૃથ્વી સાથે, મૂળ વડે  જોડાઈને સ્થિર રહી શકે છે.

અહી પ્રત્યેક સર્જન વિશિષ્ટ છે, પ્રત્યેક વ્યક્તિ અનન્ય ભૂમિકા નિભાવે છે. અને પ્રત્યેક વ્યક્તિનું અસ્તિત્વ વિશિષ્ટ હેતુ માટે છે. આ પૃથ્વી પર મારે જે કરવાનું છે તે હું જ કરી શકીશ અને તમારે જે કરવાનું છે તે માત્ર અને માત્ર તમે જ કરી શકશો. વિશ્વમાં કૃષ્ણની જરૂર હતી ત્યારે તેમનું અવતરણ થયું, જીસસની જરૂર હતી ત્યારે જીસસ પૃથ્વી પર આવ્યા, મહાત્મા ગાંધી કે જે. આર. ડી. ટાટા ની વિશ્વને જરૂર હતી તો તેમનો જન્મ થયો. એ જ રીતે વિશ્વને તમારી જરૂર છે અને એટલે જ તમે પણ એક વિશિષ્ટ હેતુથી પૃથ્વી પર આવ્યા છો. સમગ્ર બ્રહ્માંડમાં, ભૂતકાળમાં ન તો કોઈ તમારા જેવું થયું હતું અને અનંત સમય સુધી ન તો કોઈ તમારા જેવું થવાનું છે. પ્રકૃતિ તમને એટલો બધો પ્રેમ કરે છે કે તમને ઘડ્યા પછી અન્ય કોઈ તમારા જેવુ બને નહીં તેનું સતત ધ્યાન રાખે છે.

આત્મવિશ્વાસ જગાવો! એ માત્ર તમે જ કરી શકશો, તમારા માટે અન્ય કોઈ એ નહીં કરી શકે. તમારી જાત પર નિર્બળતાનું લેબલ ન લગાવો. પરમાત્મા તમને સતત કહી રહ્યા છે, તમે સુંદર છો, તેજસ્વી છો, વિશિષ્ટ છો અને માટે જ પરમાત્માને અતિ પ્રિય છો. ક્યારેય એમ ન કહો કે હું પ્રગતિ કરવા સક્ષમ નથી. કહો કે હું વિશિષ્ટ છું, કઈં પણ કરી શકવાનું સામર્થ્ય ધરાવું છું, અને જુઓ કે તમે ઉત્સાહ, ઉર્જા અને આનંદથી છલકાઈ ગયા છો!

તમે શુદ્ધ છો. અનુપમ છો. અનન્ય છો. વિશ્વ માટે વિસ્મયપૂર્ણ છો. તમારી વિશિષ્ટતા ઉત્સવ સમાન છે. પૃથ્વી પર સ્વયંના આવિર્ભાવ નો નિરંતર ઉત્સવ ઉજવો. પરમાત્મા તમને અત્યંત પ્રેમ કરે છે, એ સત્ય હમેશા યાદ રાખો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)


ખુશી એ એક અનુભૂતિ છે, કોઈ વિચાર નથી…

$
0
0

(બી.કે. શિવાની)

મને વિચાર આવ્યો કે, જો હું નવી સાડી ખરીદીશ, તો મને ચોક્કસ ખુશી થશે. નવી-નવી ચીજ-વસ્તુઓ થોડા સમય માટે આપણને ખુશી તો આપે છે. પણ આપણે અહીં એ પણ સમજવું જોઈએ કે, સાડી મને થોડી ખુશી આપશે? કે ખુશ કેવી રીતે રહેવું તે શીખવશે? કે કોઈ સારી અનુભુતી કરાવશે? આપણને જયારે સારું લાગ્યું, ત્યારે આપણે નવી વસ્તુઓ ખરીદીએ છીએ. પછી આપણા મિત્રો પૂછશે કે સાડી ક્યાંથી લીધી?  તમને તો સાડી ખુબ સારી લાગે છે, ખુબ શોભે છે. આવા મારા અને મારી સાડીના વખાણ સાંભળીને મને વધુ ખુશી થાય છે. આ બધી વિધિ દરમિયાન સાડી તો કંઈ કરતી પણ નથી. સાડીની પાસે મને આપવા માટે કોઈ એવી ખાસ અનુભૂતિ પણ નથી, તો તે સાડી મને ખુશી કેવી રીતે આપશે?

બીજા કોઈ એક મિત્રએ મને કહ્યું કે સાડીનો કલર સારો નથી લાગતો. સાડી તો ત્યાંની ત્યાં જ જેમ છે તેમ જ છે. પરંતુ આપણી વિચારવાની રીત બદલાઈ જાય છે. જેના કારણે આપણી ખુશી-આનંદની અનુભૂતિ પણ બદલાઈ ને દુઃખની લાગણી આવી ગઈ. આના ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, સાડી આપણને કોઈ અનુભૂતિ કરાવતી નથી. પરંતુ તે ખુશી થવાની અનુભૂતિ હું પોતે જ નિર્માણ કરું છું.

સૌ પ્રથમ તો જ્યારે હું નવી વસ્તુ ખરીદું છું, ત્યારે મને સારી અનુભૂતિ થાય છે. પરંતુ જો હું એમ વિચારું કે મારે જે વસ્તુ જોઈએ છે તે વસ્તુ હું ખરીદી શકું તેમ નથી. ત્યારે તે વસ્તુ ન ખરીદી શકવાના જે વિચારો મનમાં ચાલે છે, જેના કારણે મને ક્યાંક દુઃખ થાય છે. મારી આજુબાજુના બધાએ તે વસ્તુ ખરીદી લીધી છે, અને હું એક જ રહી ગયી છું કે વસ્તુને ખરીદી શકતી નથી.

ઉદાહરણ તરીકે, આજે બજારમાં એક નવો મોબાઈલ આવ્યો છે. જેની કિમત વીસ હજાર રૂપિયા છે. પરંતુ મારી પાસે તો જૂનો મોબાઈલ છે, જે એકદમ સાદો છે તેમાં કોઈ ખાસ કોઈ વિશેષતાઓ પણ નથી. તો આવા વિચારો મને નવો મોબાઈલ ખરીદવાની પ્રેરણા આપે છે. જયારે હું નવો મોબાઇલ ખરીદી લઉં છું ત્યારે હું વિચારું છું કે મારી પાસે તો બીજા લોકો કરતાં પણ સારો મોબાઇલ છે. પછી આપણે તે ખુશી અને આંનદથી અન્ય લોકોને જણાવી આપણે આપણી ખુશી વક્ત કરીએ છીએ. આ સમગ્ર ઘટના દરમિયાન મોબાઇલ પોતે કશું કરી રહ્યો છે? મોબાઈલ પાસે ખુશી આપવાની શક્તિ ક્યાંથી આવી? નવો મોબાઈલ ખરીદ્યા પછી મારામાં ખુશીના વિચારો આવે છે. જેના કારણે મને એવું લાગે છે કે આ મોબાઈલ જ મને ખુશી આપી રહ્યો છે.

તમારી પાસે સુંદર રંગીન સાડી છે, પરંતુ હું તે સાડી ખરીદી શકું તેમ નથી. મેં તો એક બ્રહ્માકુમારી બહેન તરીકે સફેદ સાડી પહેરી છે. મને રંગીન સાડી પહેરવાની મંજૂરી નથી. તો શું હું એમ વિચારીને દુઃખી થઈશ કે મારી મિત્ર ખૂબ ભાગ્યશાળી છે કે તે રંગીન કે સફેદ કોઈપણ સાડી પહેરી શકે છે. જ્યારે હું તો ફક્ત સફેદ સાડી જ પહેરી શકું છું. તો મેં પહરેલ સફેદ સાડી મને દુઃખ નથી આપતી, પરંતુ તે સમયે મારા મનમાં ચાલતા મારા વિચારો જ મને દુઃખી કરી રહ્યા છે. અને મારા મનમાં ઘર્ષણ શરૂ થાય છે કે, જે વસ્તુ મારી મિત્ર પાસે છે તે વસ્તુ મારી પાસે પણ હોવી જ જોઈએ અને જ્યારે તે વસ્તુ મારી પાસે આવશે ત્યારે જ મને ખુશી થશે. તો ખુશીનો અનુભવ કોઈ વસ્તુ નહીં પણ મારા મનના ખુશીના વિચારો કરવાથી જ થશે.

અહીં આપણે જોઈએ કે, ખુશી મારી સાડી ઉપર આધારિત નથી. ખુશી મારી કોઈ નવી વસ્તુ ખરીદવા કે ન ખરીદવા ઉપર આધારિત નથી. એવું પણ નથી કે મારી ખરીદેલી વસ્તુ માટે બીજા લોકો શું વિચારશે. આમ અહીં એ સ્પષ્ટ છે કે કોઈપણ વસ્તુ ફક્ત ને ફક્ત મને આરામ કે હુંફ આપી શકે, પણ તે મને ખુશી કે બીજા કોઈ પ્રકારનો અનુભવ કરાવી શકતી નથી. કારણ કે કોઈ સ્થૂળ વસ્તુમાં ખુશી ઉત્પન્ન કરવાની શક્તિ નથી. આપણા વિચારો દ્વારા જ ખુશીની અનુભૂતિ કરી શકાય. તે બાબત ઉપર આપણે અહીં પ્રકાશ પાડીશું. આજે આપણને એક વાત સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ કે કોઈપણ ચીજ-વસ્તુઓ આપણને ક્યારેય ખુશી આપી શકતી નથી. પરંતુ હું પોતે પોતાની જાતને ખુશી આપી શકું છું. કારણ કે હું પોતે  ચૈતન્ય છું અને વસ્તુઓ તો જડ છે, નાશવંત છે.

ખુશી એ એક અનુભૂતિ છે. કોઈ વિચાર નથી કે જેની આપણે વાત કરીએ છીએ. મારી ખુશીનો ગ્રાફ આખા દિવસમાં કેટલીવાર ચડે કે ઉતરે છે? શું દિવસમાં એવી કોઈ ઘડી આવે ને મારી આંતરિક ખુશી કોઈ પણ પ્રકારના સંજોગોમાં પણ સ્થિર અને એકરસ રહી શકે. એવું શું શક્ય છે?

ખુશી એટલે શું? ખુશી એક અનુભૂતિ છે કે એક સંકલ્પ છે? ખુશી વાસ્તવમાં તો એક પ્રકારની અનુભૂતિ જ છે, તે એક અનુભવ છે. પરંતુ લાવવા માટે કોઈને કોઈ માધ્યમ તો જરૂર જોઈએ. આપણે આખા દિવસ દરમિયાન અનેક પ્રકારના અનુભવો કરતા હોઈએ છીએ. ક્યારેક ખુશ, ક્યારેક દુઃખ-દર્દ, કે ક્યારેક ચિંતા. પરંતુ આ બધી અનુભૂતિઓને હું પોતે શેના આધારે અનુભવ કરું છું? તે સમજવું ઘણું જરૂરી છે. ખુશીની અનુભૂતિનો આધાર આપણા વિચારો કે સંકલ્પ જ છે. જે સમયે ઉત્પન્ન કરું છું, તે સમયે તેવી અનુભતી થાય છે.

મેં કોઈ એક સુંદર મજાનું ફૂલ જોયું અને મન ખુશ થઈ ગયું. તેનું મૂળ કારણ તો એ છે કે તે ક્ષણે હું એવો સંકલ્પ કરું છું કે, આ ફુલ તો ખરેખર કેટલું બધું સુંદર છે! પણ એવું બની શકે કે, જે સુંદર ફુલ મને ખુશીની અનુભૂતિ કરાવે છે તે જ ફુલ પાસેથી હું પસાર થઈ જાઉં, અને છતાં પણ મને કોઈ જ પ્રકારની અનુભૂતિ ન થાય. કારણ કે મેં તે ફુલને જોઈને મનમાં તેના વિશે કોઈ વિચારો જ ન કર્યા. તો મનમાં કેવી અનુભૂતિ થાય? પણ ફુલ આગળથી પસાર થતી વખતે જો હું થોડો સમય ત્યાં રોકાઈ જાઉં અને મનમાં સંકલ્પ કરું કે આ ફૂલ કેટલું સુંદર છે! તેનો રંગ ઘણો આકર્ષક છે. તેની સુગંધ કેટલી સરસ છે! ફૂલના વિશે સુંદર વિચારો મનમાં કર્યા પરિણામે મને તે ફૂલની સુંદરતાનો અનુભવ થયો. તે સમયે કોઈએ આવીને આપણને કશુંક કહી દીધું. તો હવે આપણી વિચારવાની આખી પ્રક્રિયા બદલાઈ જશે. આ વ્યક્તિએ મને આવું શા માટે કહ્યું? પરિણામે આપણી અનુભૂતિ પણ આપોઆપ બદલાઈ ગઈ. ફુલ તો હજુ સુધી ત્યાંનું ત્યાંજ છે, પરંતુ હવે તે આપણને કોઈ અનુભૂતિ કરાવી રહ્યું નથી.

ફૂલ જોઈને મને એવું પણ યાદ આવે છે કે, મારા પતિ શરૂઆતમાં તો મારા માટે કેટલાં સુંદર સુંદર ફૂલો લાવી આપતા હતા, પરંતુ હવે તો લાવતા જ નથી. ફુલ તો ત્યાંનું ત્યાંજ છે, પરંતુ ફૂલને જોઈને આપણે અનેક પ્રકારના વિચારો આવ્યા. આપણે જે પ્રકારના વિચારો કરીશું એજ પ્રમાણે આપને અનુભવ થશે. હું આખો દિવસ કે જીવન પર્યંત કેવી અનુભૂતિ કરવા ઈચ્છું છું? તે મારા વિચારો ઉપર જ આધારિત છે.

અનુભવ બે પ્રકારના થાય છે. અનુભવ સારા પણ હોઈ શકે છે અને અનુભવ દુઃખદાયક પણ હોઈ શકે. ધારો કે મેં આજે એક નવી ગાડી ખરીદી. મારી બહેને મારાથી પણ મોટી ગાડી ખરીદી, અને મને જયારે એવા વિચાર આવે છે કે તેણે તો મારાથી પણ મોટી અને સરસ ગાડી ખરીદી, ત્યારે મને તેની અદેખાઈના વિચારો થાય છે. પરંતુ જો તે સમયે હું એમ વિચારું કે ખુબ જ સરસ વાત છે કે, મારી બહેને પણ એક સારી ગાડી ખરીદી. તો મને હવે આવા વિચારોથી સુખની અનુભૂતિ થશે. હવે જે પ્રકારની અનુભૂતિ મને થશે તેના આધારે જ મનમાં મને બીજા વિચારો આવશે.

હવે આપણે એમ સમજીએ કે વિચાર પહેલા આવે છે કે અનુભૂતિ?  જ્યારે આપણે સમાચાર સાંભળીએ છીએ કે કોઈ સ્થળે મોટો અકસ્માત થઈ ગયો, કોઈ સ્થળે કોઈની સાથે અન્યાય થઇ રહ્યો છે, કોઈ સ્થળે ખૂબ વરસાદ પડી રહ્યો છે. ત્યારે આપણને દુઃખની અનુભૂતિ થશે. પરંતુ દુઃખની અનુભૂતિ કરતા પહેલા આપણે શું કર્યું? સમાચાર પહેલા આપણે પણ મનમાં આવ્યા અને તે વિચારોના આધારે હવે આ લોકોનું શું થશે? તેમની સાથે આવી ઘટના ઘટી, હવે તેમનું ભવિષ્ય કેવું હશે? વગેરે વગેરે… આપણે પહેલા વિચાર કરીએ છીએ ત્યારબાદ તેનું પરિણામ આપણને અનુભૂતિના રૂપમાં મળે છે.

આપણે આપણા દિવસની શરૂઆત કેવી રીતે કરીયે છીએ તે સમજીએ. માનો કે મેં સવારે 5:00 વાગ્યાનું એલાર્મ મુક્યું હતું.  પરંતુ એલાર્મ વાગ્યું નહીં અને મારે સવારે ઊઠવામાં મોડું થઈ ગયું. જેવી હું ઉઠી ત્યારે મારા મનમાં સૌ પ્રથમ એ વિચાર આવે છે કે, મારે ઊઠવામાં ઘણું મોડું થઈ ગયું. એક વિચારના કારણે મારી આખી ઉર્જાનું સ્તર બદલાઈ જાય છે. હું વિચારું છું કે હવે મારી પાસે કસરત કરવા માટે સમય નથી. હવે જલ્દી-જલ્દી બધી તૈયારી કરવી પડશે. ત્યારબાદ અનેક ચિંતાયુક્ત વિચારો મનમાં આવવાના શરૂ થઈ જાય છે. ત્યારે હું એમ કહું છું કે, આજે મારો દિવસ સારો ન ગયો, કોણ જાણે સવાર સવારમાં  કોનો ચહેરો જોયો હતો? પરંતુ આમાં કોઈનો ચહેરો જોવાની વાત જ નથી. પરંતુ સવારે ઉઠતા સમયે સૌ પ્રથમ મેં કયો વિચાર કર્યો હતો? તેની ઉપર આખા દિવસની માનસીક અવસ્થાનો આધાર હોય છે. વાસ્તવમાં સવારે ઉઠતા સમયે સૌ પ્રથમ દસ મિનિટ એકાંતમાં શાંત ચિત્તે બેસીને સકારાત્મક વિચારો કરીએ, પરમાત્માને યાદ કરીએ, કારણ કે આખા દિવસની આપણી મનની અવસ્થાનો આધાર સવારના ઉઠીને પ્રથમ 10 મિનિટમાં કરેલ સંકલ્પ ઉપર જ હોય છે.

જેવી રીતે આપણે આપણી આખા દિવસની દિનચર્યાનું ટાઈમ-ટેબલ બનાવીએ છીએ, તેવી જ રીતે આપને એ પણ પ્લાનિંગ કરીએ કે મારે મારા દિવસની શરૂઆત કેવા વિચારો સાથે કરવી છે? પરિણામે હું જાગૃત થઈ જાઉં છું, હું સકારાત્મક વિચારો કરી શકું છું અને મારામાં આત્મવિશ્વાસ આવતો જશે. હું કેવા પ્રકારના વિચારો કરવા માગું છું? તે પસંદ કરવાની શક્તિ મારી પોતાની પાસે જ છે.

વધુ આવતા અંકમાં….

બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.

ગતિહીનતા/પ્રવાહીનતા એ એક પ્રકારની બીમારી છે…

$
0
0

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

ગતિહીનતા/પ્રવાહીનતા એ એક પ્રકારની બીમારી છે. એ જીવન ની વિરોધી છે. સ્થિરતા/નિશ્ચળતા ભરપુર જીવન છે જે કોઈ પણ રીતે પોતાને વ્યક્ત/પ્રકટ કરતી નથી. તે બસ મૌજૂદ છે–શક્તિશાળી રૂપે. તે ભગવાન છે. ભગવાન સ્થિરતા/નિશ્ચળતા છે, ગતિહીનતા/પ્રવાહીનતા નથી. મન ગતિહીનતા/પ્રવાહીનતા છે. સાધના (આધ્યાત્મિક અભ્યાસ) એક એવું બળ છે જે તમને ગતિહીનતા/પ્રવાહીનતા થી સ્થિરતા/નિશ્ચળતામાં લઇ જાય છે, પણ ગતિહીનતા/પ્રવાહીનતા અને સ્થિરતા/નિશ્ચળતા વચ્ચે, જ્યારે તેઓ સાથે હોય છે, ત્યારે ખૂબ જ ઓછો તફાવત હોય એમ લાગે છે, કારણ કે તમારું તાર્કિક મન ફક્ત જે ચાલે અને જે નથી ચાલતુ ના સંદર્ભમાં જ સમજી શકે છે.

ભૌતિક દ્રષ્ટિએ, સ્થિરતા/નિશ્ચળતા અને ગતિહીનતા/પ્રવાહીનતા એક જેવા જ દેખાઈ શકે છે, પણ ગુણાત્મક રીતે તેમની વચ્ચે આભ-જમીન નું અંતર છે. એક વ્યક્તિ ધ્યાન કરે છે અને એક વ્યક્તિ સૂતો છે, તે બંને જોવામાં એક સરખાં લાગી શકે. બહારથી, સ્થિરતા/નિશ્ચળતા અને ગતિહીનતા/પ્રવાહીનતા વચ્ચે કોઈ અંતરના જણાય પણ આંતરિક રીતે, જબરદસ્ત તફાવત છે. ગતિહીનતા/પ્રવાહીનતા થી સ્થિરતા/નિશ્ચળતા સુધી, અજ્ઞાન થી આત્મસાક્ષાત્કાર સુધી, આજ તફાવત છે. એક રીતે, તેઓ એક જ વસ્તુ છે, ફક્ત તેમના ગુણમાં અંતર/તફાવત છે.

જ્યારે તમે પોતેજ અજ્ઞાનમાં ડૂબેલા છો ત્યારે તમે આ ગુણાત્મક તફાવતને કંઈ રીતના જાણી શકશો?

એટલા માટે જ સાધના ની પ્રક્રિયા સંપૂર્ણ’થવી જોઈએ. તે વ્યક્તિની મૂઢતા પર આધાર રાખે છે કે તેની સાધના કેટલી લાંબી હોવી જોઈએ. શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે તમારી જાતને હદ સુધી લઇ જાવ અને જુઓ ત્યાં શું છે. જો તમે દરેક નાની અસુવિધા માટે રોકાઈ જશો, તો તમે ક્યારેય જાણી નહિ શકો તે શું છે. બસ પોતાને હદ સુધી લઇ જાવ. તમે પોતાને અસુવિધા ના બિંદુ સુધી લઇ જાવ પણ ત્યાં છોડી ના દો, વધુ આગળ જાવ અને હજી વધુ આગળ જાવ. તેને પરમ સુધી લઇ જાવ, ચરમ સુધી. ફક્ત ત્યારે જ મન પોતાનામાં વિસર્જિત/વિલીન થશે. તમારે કોઈ અન્ય સાધના કરવાની જરૂર નથી.

આ એક જ સાધના ની જરૂર છે. સાધના ના રૂપમાં બાકીની બધીજ પ્રવૃત્તિ આ એક વસ્તુને મેળવવા માટે છે. વ્યક્તિએ એવી રીતે હોવું જોઈએ કે તમારો સંકલ્પ (નિશ્ચય) અડગ હોય. શા માટે કોઈને હિમાલયમાં જઈ અને ત્યાં ૧૨ (બાર) વર્ષ માટે રેહવાનું કેહવામાં આવે છે, તે એટલા માટે નહિ કે જો તેઓ હિમાલય માં રેહશે તો ત્યાના પથ્થરો તેમને આત્મસાક્ષાત્કાર આપશે. તે એટલા માટે કે કોઈ પોતાના જીવન ના ૧૨ વર્ષ   સુદ્ધાં બરબાદ/વેડફવા કરવા માંગે છે, બધી કઠિનાઈઓ વેઠી ને, ફક્ત સત્ય ને શોધવા માટે. જો આવો સંકલ્પ આવ્યો હોય, તો  વ્યક્તિ ઘણી નજીક છે. એક રીતે, તે ખરેખર જીવન ને બરબાદ/વેડફવા જેવું જ છે. જ્યારે આખી દુનિયા મજાથી ખાતી હોય, મજા થી પીતી હોય અને આનંદ માણતી હોય, તમે ઠંડી માં “શિવ, શિવ, શિવ” નું રટણ કરતા હોવ, એ જાણતા કે કદાચ કશું ના મળે.

સંભવ છે કે શિવજી પ્રકટ ના પણ થાય અને તમને ત્યાંથી બહાર કાઢે. તમે જો ભૂખ્યા છો, તો તમે બસ ભૂખ્યા છો. તમને જો ઠંડી લાગે છે, તો તમે ઠંડા છો. તમે જાણો છો કે ત્યાં જીવવું આશાવિહીન બની શકે છે. તે છતાંય તમે ત્યાં રહો છો, કેમ કે તમારા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ કંઇક જુદી છે. જ્યારે તેવો સંકલ્પ આવે છે, તો ૧૨ વર્ષ  નથી લગતા. એક ક્ષણ માં, તે થઇ શકે છે. કોઈએ ૧૨ વર્ષ રાહ જોવાની જરૂર નથી. આ તે ક્ષણ હોઈ શકે છે. કારણ કે તમે આ ક્ષણ નો ઉપયોગ નથી કરતા માટે તમારે આગલા ની પ્રતીક્ષા કરવી પડે છે. હંમેશા આ જ ક્ષણ છે.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)

 

સફળતા પ્રાપ્ત કરવા શું કરવું?

$
0
0

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા કોને નથી હોતી? પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળ થવા ચાહે છે. શું સફળતા એ વ્યક્તિની સાથે ઘટતી એક અસાધારણ ઘટના છે? ના, સફળતા એ બાહ્ય જગતમાં ઘટતી કોઈ ઘટના નથી. સફળતા તો વ્યક્તિનાં મનોજગત અને જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણ સાથે નિરંતર જોડાયેલી વૃત્તિ છે. કપરા સંજોગો સામે પણ બાથ ભીડી ને સફળ થવા માટે, કૌશલ્ય હોવું અત્યંત આવશ્યક છે.

૧. જો ધ્યાનપૂર્વક જોશો તો પ્રત્યેક વ્યક્તિ, પરિસ્થિતિ કે ઘટના માંથી કંઈ ને કંઈ શીખવાનું ચોક્કસ મળે છે. દરેક પાસેથી શીખવાનો અભિગમ રાખો. જેમ કે એક જર્મન પાસેથી ચોકસાઈ, બ્રિટિશર પાસેથી સભ્ય વર્તાવ, અમેરિકન પાસેથી વ્યવસાય, જાપાનીઝ પાસેથી ટીમ વર્ક, અને એક ભારતીય પાસેથી માનવીય મૂલ્યો, આધ્યાત્મિકતા શીખવા મળે છે. તો, અવલોકન કરો, તટસ્થ રહો અને સતત શીખતા રહો.
૨. તમારી ક્ષમતાઓ નો વિકાસ કરો. સંકુચિતતા છોડી દો. હંમેશા સાનુકૂળ વાતાવરણમાં જ રહેવાની વૃત્તિ છોડો. પડકારોનો સામનો કરો. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો અને પોતાની અંદર સિંહ સમું શૌર્ય જગાડો. જુસ્સા સાથે ધ્યેય પ્રતિ આગળ વધો. પરંતુ અંદરથી શાંત અને વિરક્ત રહો. જયારે તમે તમારા સો પ્રતિશત આપીને કોઈ કાર્ય કરો છો અને પછી તેનાં ફળ પ્રત્યે વિરક્ત બનીને વિશ્રામ કરો છો, ત્યારે બ્રહ્માંડ વિપુલ પ્રમાણમાં તમને બધું જ આપે છે.
૩. ટીકાઓ, આલોચનાઓનો સ્મિત સાથે સ્વીકાર કરો. શાંત અને પ્રસન્ન રહો. કોઈ તમારી મજાક કરે ત્યારે દુઃખી થવાને બદલે તેને હળવાશથી લો. જો તમારામાં રમૂજ વૃત્તિ નથી, તો તમે સફળ થઇ શકતા નથી. ટીકા, આલોચના અને મજાક ને જો તમે હળવાશથી નહીં લો તો સંબંધો તૂટતા જશે, નકારાત્મક ભાવનાઓ ઘેરી વળશે અને તમારા ધ્યેયથી તમે વિચલિત થઇ જશો. માટે રમૂજ વૃત્તિ કેળવો.
૪. પોતાની અને અન્યની ભૂલોનો સ્વીકાર કરો. સંપૂર્ણતાનો વધુ પડતો દુરાગ્રહ, તમારી અંદર  ક્રોધ ઉત્પન્ન કરે છે. દરેક વ્યક્તિ પાસે પ્રવીણતાની, પૂર્ણતાની અપેક્ષા ન રાખો. લોકોની પ્રવૃત્તિઓ, કામ કરવાની પદ્ધતિ, વર્તન વગેરે પ્રત્યે કોઈ મત ન બાંધો, ન કોઈ નિર્ણય આપો. આમ કરવામાં તમે તમારી પોતાની અપૂર્ણતાઓ પ્રત્યે સભાન રહેતા નથી. અન્ય ને સતત સુધારવાનો પ્રયત્ન કરવામાં તમારી પોતાની જાતમાં સુધાર, આવશ્યક પરિવર્તન લાવવાનું તમે ચૂકી જાઓ છો. એ જ રીતે પોતાની ભૂલો પરત્વે પણ ઉદાર રહો. જાત ઉપર પણ દોષારોપણ ન કરો. પરંતુ એકની એક ભૂલ વારંવાર ન થાય તેની કાળજી રાખો. ભૂતકાળમાં જે બની ગયું તેને નિયતિ માનો અને જાણો કે ભવિષ્યનું ઘડતર તમારા પોતાના હાથમાં છે. ભૂતકાળની ભૂલોમાંથી પાઠ શીખો અને આગળ વધો.
૫.કઠિન પરિસ્થિતિમાં પણ ઉત્સાહથી છલકતા રહો. મીણબત્તીને ઉલટી કરીને પકડીએ તો પણ તેની જ્યોત તો ઉપરની તરફ જ જશે. એ જ રીતે વિપરીત સંજોગોમાં પણ તમારા ઉત્સાહ ને જાળવી રાખો. જાણો કે અગાઉ પણ ઘણી બધી વખત તમે સમસ્યાઓનો સામનો કર્યો છે, અને તેમાંથી બહાર આવી શક્યા છો. દુઃખી રહેવાના સો કારણો હોય છતાં પણ પ્રસન્નતા અને ઉત્સાહને ટકાવી રાખવાનો સજગતાપૂર્વક નિશ્ચય કરો અને મન ને સંતુલિત, કેન્દ્રિત તથા શાંત રાખવા યોગ, પ્રાણાયામ અને ધ્યાન નો તમારી દિનચર્યામાં સમાવેશ કરો.
ધ્યાન દ્વારા તમે અનંત પ્રાણ ઉર્જા મેળવો છો, જેના વડે દરેક અસંભવ લાગતાં કાર્યને તમે સંભવ કરી શકો છો. સફળતા એટલે સદૈવ પ્રસન્ન રહેવાની તમારી ક્ષમતા. કોઈ પણ પરિસ્થિતિ માં તમારા ચહેરા પરથી જો સ્મિત વિલાતું નથી તો તે સાચી સફળતા છે.

 

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

મનના વિચારોને જાણો…

$
0
0

(બી.કે. શિવાની)

મોટાભાગે તો આપણે દરરોજ સમયસર ઉઠતાં જ હોઈએ છીએ, પણ ધારો કે કોઈક વાર આપણે સવારે મોડા ઉઠ્યા તો પણ જેમ દરરોજ આપણે પોતાના માટે કસરત, ધ્યાન, ચાલવા, પ્રાર્થના, વાંચન માટે ખાસ સમય આપીએ છીએ તેમ આજે પણ મોડું થવા છતાં 5-10 મિનિટનો સમય પોતાના આ પ્રકારના કામકાજ માટે સમય કાઢવો જ જોઈએ. જે આપણને આજે નહિ તો ભવિષ્યમાં પણ તે બહુ જ ઉપયોગી અને મદદરૂપ થશે. મોડા ઉઠવાના કારણે આપણે 5-10 મિનિટ પોતાના માટે સમય કાઢી ન શક્યા અને બાકી રૂટીનના તમામ કામો આપણે કરતા જ રહ્યા તો તે કામ આપણે તણાવ સાથે કરીશું.

પરિણામે આપણને પોતાનું કામ કરવા માટે વધારે સમય લાગશે. પરંતુ જો આપણે દિવસની શરૂઆતમાં જ પોતાના માટે ફક્ત બે મિનિટનો સમય કાઢીને શાંત ચિત્તે મેડીટેશન અને ધ્યાનાભ્યાસ કરીએ અને એમ વિચારીએ કે, આજે ભલે મને ઊઠવામાં મોડું થયું છે. પરંતુ તે મોડા ઉઠાવાનો પ્રભાવ મારા હવે પછીના આગળના કામકાજ પર નહીં પડે. નિયમિત ધ્યાનાભ્યાસ કરવાથી હવે હું દરેક પરિસ્થિતિઓને મારા નિયંત્રણમાં કે કાબુમાં રાખી શકું તેમ છું, કારણ કે હવે મારું મન મારા નિયંત્રણમાં છે. હવે હું એક ચોક્કસ ધ્યેય સાથે સ્થિરતાપૂર્વક મારા દિવસની શરૂઆત કરી શકીશ.

આ પ્રકારના વિચારો હું પોતે જ મારા મનમાં ઉત્પન્ન કરી શકું છું. વાસ્તવમાં આ મારા મન સાથેનો એક વાર્તાલાપ છે. વારંવાર હું મનનું પ્રોગ્રામિંગ કરી રહી છું. હું વિચારી રહી છું કે, ભલે ને આજે મને ઊઠવામાં મોડું થઈ ગયું, પણ કોઈ વાંધો નહી. ઓકે. ઠીક છે. મારા બધાં જ કામો વ્યવસ્થિત રીતે સારી રીતે જ થશે. હું મારા મનમાં વિચારો મારી જાતે જ ઉત્પન્ન કરી શકું છું. આપણે એ જરૂર ચકાસવું જોઈએ કે આખા દિવસ દરમિયાન મારા વિચારોની ગુણવત્તા કેવી છે? આખો દિવસ પોતાની સાથે આંતરિક વાર્તાલાપ તો ચાલતો જ હોય છે. જેમ કે આ વ્યક્તિ બહુ જ સારી છે. પણ આ ભાઈ તો બહુ જ ખરાબ છે. તેણે આવું કામ નહોતું કરવું જોઈતું. આ ભાઈ કે બહેન તો બહુ જ સારા છે. અથવા તો મારા મિત્ર પાસે પાસે જે કોઈ વસ્તુ કે ચીજ છે તે મારી પાસે નથી. આવી રીતે આમ આખે-આખો દિવસ આપણે આપણા મન સાથે તો વાતો કરી રહ્યા છીએ.

જો હું મનમાં એમ વિચારું કે હવે તો મારે મોડું થઈ ગયું છે. હવે તો આખો દિવસ બહુ જ ખરાબ પસાર થશે અને ગરબડ પણ થવાની છે. વધારે મુશ્કેલીઓ આવવાની છે. આ પ્રકારના નકારાત્મક સંકલ્પો કરવાથી તેનો પ્રભાવ આપણા આખા દિવસના કરેલા કાર્ય ઉપર પડે છે. આથી સવારે ઊઠીને તરત સકારાત્મક સંકલ્પો કરીએ અને મનને શાંત-સ્વસ્થ રાખીએ. ઘણીવાર આપણને એવું લાગે કે, સકારાત્મક સંકલ્પ કરવા થોડા અઘરાં છે, પરંતુ જેમ બીજાઓ સાથે વાતચીત કરવાની તો આપણને પ્રેક્ટિસ હોય છે. તેમ વિચારો સાથે પણ વાત કરવાની એક સારી ટેવ પાડવી હવે જરૂરી છે. ધારો કે તમે મારી સામે બેઠા છો અને હું વારંવાર એમ જ કહું કે, આજે તો મારે ઊઠવામાં મોડું થઈ ગયું છે. આજના દિવસે કઈક ગરબડ તો થવાની છે. આ મારી અને તમારી વચ્ચેની વાતચીત છે. પણ જો હું મારા રૂમમાં એકલી બેઠી છું અને મેં મારી જાતને પોતાને એમ કહ્યું કે, આજે તો ઊઠવામાં બહુ મોડું થઈ ગયું. હવે તો કંઈ પણ સારું કામ થવાનું નથી, કોઈ વાત બરોબર થવાની નથી.

તો આ પ્રકારનો વાર્તાલાપ પોતાની જાત સાથેનો એક પ્રકારનો વાર્તાલાપ કે વાતચીત જ છે. આ પ્રસંગે હું મારી સાથે સકારાત્મક વાતચીત પણ કરી શકું છું. સવારે ઊઠવામાં જો મોડું થઈ ગયું હોય ત્યારે હું મારી જાતને એમ કહી શકું છું કે, કોઈ ચિંતાની વાત છે જ નહીં, બધું બરોબર ઠીકઠાક જ છે. પરંતુ જો મેં મારી જાતને એમ કહી દીધું કે, હવે તો બધી ગરબડ થવાની છે. તો જીવનમાં સમસ્યાઓનો અનુભવ થતો જ રહેશે. મેં મનમાં નકારાત્મક વિચારો ઉત્પન્ન કર્યા. કે હવે શું થશે? બાળકોને લેવા જવામાં કે બીજે મોકલવામાં મોડું થશે. આમ જો નકારાત્મક વિચારો વધતા જશે. તો એકંદરે નુકશાન આપને પોતાને જ થશે. જયારે નકારાત્મક વિચારો મનમાં શરૂ થઈ જાય છે ત્યારે આપણે તેના પ્રત્યે જાગૃત રહેતાં નથી. આવા સંકલ્પો બહુજ ઝડપથી શરૂ થાય છે. પરિણામે મનમાં અરાજકતાની ભાવના ઉત્પન્ન થાય છે. જ્યારે આપણને ટેન્શનનો, પ્રેશરનો અનુભવ થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે મનમાં કંઈક ગરબડ ચાલી રહી છે.

બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.

 

તમારી તીવ્રતા વધારો…

$
0
0

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

મોટાભાગની વ્યક્તિઓ ફક્ત જોખમની સ્થિતિમાં જ કાર્યક્ષમ બને છે. ધારો કે, તમે કાર ચલાવી રહ્યા છો, કારની સ્પીડ 120 માઇલ પ્રતિ કલાક છે. આ સ્પીડમાં તમે કાર ચલાવી રહ્યા છો અને અચાનક જ કશુંક માર્ગમાં આવે છે. સંભવિત અકસ્માત પહેલાંની અમુક ક્ષણોમાં તમે કશુંક કરવાનો પ્રયત્ન કરો છો, કાં તો બ્રેક મારો છો, ગભરાઈ જાઓ છો અથવા તો તમારી સામે જે હોય તેને ટાળવાનો પ્રયત્ન કરો છો. ધારી લો કે તે અકસ્માત ટળી ગયો, તમે બચી ગયા, તમે જીવતા છો અને આજે અહીં બેઠા છો. છતાં, તે ગણીગાંઠી ક્ષણો તમે કદી પણ ભૂલી શકતા નથી. તે ક્ષણો એટલી તીવ્ર, એટલી ઉત્કટ હતી કે તેનો વિચાર કરવા માત્રથી આજે પણ તે દ્રશ્ય તમારી સામે જીવંત થઈ ઊઠે છે.

બીજું ઉદાહરણ જોઈએ, ધારો કે તમે ઊંચી બિલ્ડીંગની ધાર પર ઊભા છો અને પડવાની તૈયારીમાં છો. શું તમે જાણો છો કે તે ક્ષણે તમે કેટલા આવેશમાં આવી જાઓ છો? જો પડી જવાનું પરિણામ હટાવી દેવામાં આવે, તો પડવું ઘણી જ રોમાંચક ક્રિયા છે, ખરુંને? જો કાર અથડાવાનાં પરિણામોને હમણાં બાજુ પર રાખી દઈએ, તો તમે રોજ કારને અથડાવા ઇચ્છશો. પણ કાર ટકરાવાથી કારને નુકસાન થાય છે, તમને ઇજા થાય છે, આથી તમે અકસ્માતને ટાળવા ઇચ્છો છો. ધારો કે તે પરિણામો ન સર્જાય, તો શું તમે અવાર-નવાર કાર અકસ્માતનો અનુભવ કરવાનું પસંદ નહીં કરો? તમને શું લાગે છે, આ એડવેન્ચર સ્પોર્ટ્સ શું છે? પરિણામ વિનાના અકસ્માતો… તમે પ્લેનમાંથી નીચે કૂદો છો અને છેલ્લી ઘડીએ પેરેશૂટ ખોલો છો. પડવાનો આ અનુભવ તમે મેળવવા માંગો છો, કારણ કે તે તમારામાં જોશનો સંચાર કરે છે.

આમ, સામાન્યપણે જોખમની ક્ષણોમાં જ લોકો તીવ્રતાને જાણે છે. હવે હું તમને એ કહી રહ્યો છું કે, પર્વત પરથી છલાંગ મારવાનાં કે કાર ટકરાવવાનાં કે અન્ય કોઈ સાહસો કરવાને બદલે અત્યંત તીવ્રતા સાથે અહીં બેસો. જો તમે તેટલા તીવ્ર થઈ શકતા હોવ, તો જો એક વાર તમે તમારી આંખો બંધ કરશો, તો તમારા સમગ્ર જીવનકાળ દરમિયાન આંખો ખોલવાની જરુરિયાત નહીં વર્તાય, કારણ કે, જીવનમાં અત્યંત તીવ્રતા સર્જાઈ રહી છે. લોકો તેમની આંખો બંધ કરે છે અને લાંબા સમય સુધી આંખો ખોલતા નથી, તેનો અર્થ એ નથી કે તેમને જીવનમાં રસ નથી, ઊલટું, તેઓ પ્રચંડ તીવ્રતાથી જીવનનો અનુભવ કરી રહ્યા છે. બીજું કશું તેમને સૂઝતું નથી.

લોકો એવું માને છે કે કોઈ વ્યક્તિ ધ્યાનમાં મગન હોય, તો તેનો અર્થ એ કે તે સુષુપ્તાવસ્થામાં છે. સુષુપ્તાવસ્થા એટલે જીવનને ઘટાડવું. ધ્યાનથી જીવન ઘટતું નથી. ધ્યાન જીવનને ઉન્નત કરે છે. જ્યારે તમે તીવ્રતાની ચરમસીમા પર હોવ, ત્યારે કરવા માટેનું આ સૌથી રોમાંચક કાર્ય બની રહે છે – ફકત બેસી રહેવું.

શિવ હજ્જારો વર્ષ સુધી આ સ્થિતિમાં બેસી રહેતા, કારણ કે તેઓ તીવ્રતાની પ્રચંડ સ્થિતિમાં રહે છે. આથી, જ્યારે તમારો “વોલ્ટેજ” વધે છે, ત્યારે તમે કુદરતી રીતે તે બધુ જ જોઈ શકશો જેને જોવું સાર્થક છે. શિવ તેમના વોલ્ટેજને ઘણા જ ઉન્નત સ્તરે લઈ ગયા અને આ રીતે તેમનું ત્રીજું નેત્ર ખૂલ્યું. “ત્રીજું નેત્ર” એટલે કપાળ પરનો કાપો નહીં. ત્રીજું નેત્ર એટલે અન્ય લોકો જે વસ્તુ જોઈ ન શકે, તે શિવ જોઈ શકે. તે તમે પણ જોઈ શકો છો, પણ તે માટે તમારે તમારો વોલ્ટેજ વધારવો પડશે.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)

 

Viewing all 715 articles
Browse latest View live